ભાવનગર

જન્માષ્ટમી તહેવાર નિમિત્તે પાલીતાણા શહેરમાં વાહનવ્યવહાર ડાયવર્ઝન અંગે જાહેરનામું

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આગામી તા.૦૪/૦૯/૨૦૨૬ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી થનાર છે.
ઉજવણી દરમિયાન ભવ્ય શોભાયાત્રા નીકળનાર હોય તેમજ તા.૦૩/૦૯/૨૦૨૬ના રોજ સાતમના તહેવાર
અનુસંધાને મોટી સંખ્યામાં લોકો રાત્રિના સમયે રોશની નિહાળવા નીકળતા હોય છે. જેથી ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા
જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની રૂએ પાલીતાણા શહેરમાં કેટલાંક
રસ્તાઓ પર તા.૦૩/૦૯/૨૦૨૬ના ક.૧૭:૦૦ વાગ્યાથી તા.૦૪/૦૯/૨૦૨૬ના ક.૨૪:૦૦ વાગ્યા સુધી
વાહનવ્યવહાર ડાયવર્ટ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર, વાહનવ્યવહાર માટેના વૈકલ્પિક માર્ગો આ મુજબ રહેશે :
(૧) ભાવનગર તરફથી પાલીતાણા તરફ આવતા વાહનોને રેલ્વે ક્રોસિંગ (ફાટક)થી જમણી બાજુ જતા બાયપાસ રોડ
થઈ સરદારનગર ચોકડી, ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધિ કેમ્પ તથા મહાવીર પેટ્રોલ પંપ થઈ તળેટી તરફ
જતા રોડ સુધી જવાનું રહેશે.
(૨) તળાજા તરફથી આવતા વાહનોને ગરાજીયા રોડ, ભીલવાસ તરફથી સાદડીભવનવાળા રસ્તે થઈ તળેટી રોડથી
માનસિંહજી હોસ્પિટલ, મહાવીર પેટ્રોલ પંપ તથા ગારીયાધાર રોડ ચોકડી થઈ ભાવનગર બાયપાસ તરફ જતા રોડ
સુધી જવાનું રહેશે.
આ જાહેરનામાની જોગવાઈમાંથી પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલિકા દ્વારા
ઉપયોગમાં લેવાતા વાહનો, જાહેર સેવા માટેનાં સરકારી વાહનો, રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં વાહનો, ફાયર
બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડનાં ઇમરજન્સી વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાની અવધિ દરમિયાન વૃદ્ધ, અશક્ત તથા યાત્રિકોને લાવવા-લઈ જવા માટે વાહનોના ઉપયોગની
પરવાનગી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, પાલીતાણા આપી શકશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર
થશે.

Related Posts