ગુજરાત

પીઠોરા પેઇન્ટિંગ: દિવાલોથી કેનવાસ સુધીની અનોખી સફર, પરંપરા, પ્રગતિ અને આત્મનિર્ભરતાનું પ્રતીક પીઠોરા પેઇન્ટિંગ VGRCમાં આકર્ષણનું કેન્દ્ર

મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), જે 29 અને 30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે, તે માત્ર ઔદ્યોગિક અને આર્થિક વિકાસને જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પણ વૈશ્વિક મંચ આપશે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને અનુરૂપ, મધ્ય ગુજરાતના વિવિધ GI-ટેગ ધરાવતા ઉત્પાદનો અને હસ્તકલાઓને આ પરિષદ દરમિયાન વિશેષ સ્થાન આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ પરંપરાગત કારીગરોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડીને તેમને નવી તકો પ્રદાન કરવાનો છે.

આ જ પરિસરમાં 29 જૂનથી 3 જુલાઈ, 2026 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)માં મધ્ય ગુજરાતની પ્રસિદ્ધ પીઠોરા પેઇન્ટિંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે. GI ટેગ પિથોરા કલાની અનોખી ઓળખ, ગુણવત્તા અને તેના મૂળ પ્રદેશ સાથેના ગાઢ સંબંધનું પ્રમાણપત્ર છે.

આસ્થાથી આજીવિકા સુધીની સફર

પીઠોરા કલા મૂળરૂપે છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લાના રાઠવા, ભીલ અને ભીલાલા સમુદાયો દ્વારા ધાર્મિક વિધિ તરીકે આદિવાસી ઘરોની માટીની દિવાલો પર આંકવામાં આવતી હતી. માનવ, પ્રકૃતિ અને દૈવી શક્તિ વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે આ ચિત્રો પ્રાર્થનાના સ્વરૂપે રચાતા હતા.

સમયની સાથે આ પરંપરાગત કલા દિવાલોથી બહાર આવી અને કેનવાસ, કાગળ તથા અન્ય આધુનિક માધ્યમો સુધી પહોંચી. આ પરિવર્તને પીઠોરા કલાને વધુ લોકો સુધી પહોંચાડવાની સાથે આર્ટીસ્ટો માટે આવકના નવા દ્વાર પણ ખોલ્યા છે. આજે અનેક યુવા કલાકારો પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને આધુનિક અભિવ્યક્તિ દ્વારા આ કલાને વૈશ્વિક ઓળખ અપાવી રહ્યા છે.

સંસ્થાકીય સહયોગથી મળી નવી દિશા

પરંપરાગત માટીના ઘરોની જગ્યાએ આધુનિક રહેણાંકના વધતા પ્રભાવ વચ્ચે આ અનમોલ વારસાને જાળવી રાખવા માટે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ (GSHHDC) તેની જાણીતી ‘ગરવી ગુર્જરી’ બ્રાન્ડ મારફતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

ક્લસ્ટર વિકાસ, તાલીમ, ડિઝાઇન વિકાસ, પ્રદર્શનો અને સીધી કલાકૃતિ ખરીદી જેવી પહેલો દ્વારા આર્ટિસ્ટોને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં નિગમે પીઠોરા આર્ટીસ્ટો પાસેથી રૂ. 6.2 લાખથી વધુ મૂલ્યની કલાકૃતિઓ સીધી ખરીદી છે, જેના પરિણામે આર્ટિસ્ટની આવકમાં અંદાજે 15થી 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. હાલમાં નિગમ પાંચ માસ્ટર આર્ટિસ્ટ સાથે સીધો સંપર્ક ધરાવે છે અને હજારો ગ્રામિણ પરિવારોને પરોક્ષ રીતે લાભ પહોંચાડી રહ્યો છે.

છોટાઉદેપુરના પીઠોરા આર્ટિસ્ટ નારણભાઈ રાઠવા જણાવે છે કે, “ગરવી ગુર્જરી દ્વારા આયોજિત વર્કશોપ, પ્રદર્શનો અને મેળાઓ અમારે માટે ખૂબ ઉપયોગી સાબિત થયા છે. અગાઉ અમારી આવક માત્ર ગામમાં મળતા કામ સુધી મર્યાદિત હતી, પરંતુ હવે નવા બજારો અને ગ્રાહકો સુધી પહોંચવાના કારણે આવકના સ્ત્રોતોમાં નોંધપાત્ર વધારો થયો છે.”

પરંપરાને આધુનિક બજાર સાથે જોડવાનો પ્રયાસ

ગરવી ગુર્જરી દ્વારા પરિવહન અને સ્ટોલ સહાય, લાઇવ ડેમોન્સ્ટ્રેશન તથા ખરીદદારો સાથે સીધા સંપર્કની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નિયમિત ડિઝાઇન ડેવલપમેન્ટ વર્કશોપ દ્વારા કારીગરોને આધુનિક બજારની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવામાં આવે છે, જેથી તેઓ દિવાલ ચિત્રો ઉપરાંત લેમ્પ, હોમ ડેકોર અને અન્ય સર્જનાત્મક ઉત્પાદનોમાં પણ વૈવિધ્ય લાવી શકે.

સાથે જ ‘મેડ ઇન ગુજરાત હેન્ડીક્રાફ્ટ સ્ટોરી’ જેવા ડિજિટલ અભિયાનો દ્વારા પીઠોરા કલાને ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ વ્યાપક ઓળખ અપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

“ગરવી ગુર્જરીએ પિથોરાને વૈશ્વિક કેનવાસ આપ્યો”

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને જાણીતા પિથોરા આર્ટિસ્ટ પરેશભાઈ રાઠવાએ જણાવ્યું કે, “ગુજરાતનું ગૌરવ, ગરવી ગુર્જરીએ માત્ર પીઠોરા કલાને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ મને અને મારા સાથી સ્થાનિક કારીગરોને ખરેખર આત્મનિર્ભર બનાવ્યા છે. સંસ્થાએ મારા આદિવાસી સમુદાયના ભવ્ય વારસા અને આપણી માટીની સુગંધને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવા માટે એક સ્મારક પ્રયાસ હાથ ધર્યો છે. તાજા, આધુનિક દ્રષ્ટિકોણ સાથે બજારમાં આપણી પ્રાચીન કલાનો પરિચય કરાવીને, ગરવી ગુર્જરીએ યુવા પેઢીને આપણી સંસ્કૃતિ તરફ સફળતાપૂર્વક આકર્ષિત કરી છે. બ્રાન્ડ સાથેના મારા જોડાણે મને માર્કેટિંગ અને ગ્રાહક પસંદગીઓને સમજવા માટે એક નવું દ્રષ્ટિકોણ આપ્યું છે; એક કલાકાર તરીકે, ગરવી ગુર્જરી દ્વારા જ મને મારી હસ્તકલા માટે સાચું મૂલ્ય અને આદર મળ્યો છે.”

વધુમાં જણાવ્યું કે, “એક સમયે ઘરની દિવાલો સુધી મર્યાદિત રહેલી પીઠોરા કલાને આજે વૈશ્વિક કેનવાસ મળ્યો છે. આ માત્ર એક ચિત્રકલા નથી, પરંતુ આદિવાસી સમાજની આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને સાંસ્કૃતિક ઓળખનું જીવંત પ્રતીક છે. ગરવી ગુર્જરી સાથેના સહયોગે આર્ટિસ્ટોને ટકાઉ આજીવિકા અને તેમની કળા માટે વૈશ્વિક માન્યતા બંને પ્રદાન કરી છે.”

અનોખી ઓળખ ધરાવતી જીવંત પરંપરા

ગુજરાતની પીઠોરા કલાને વર્ષ 2021માં GI ટેગ પ્રાપ્ત થયો હતો. જોકે, દરેક કલાકાર પોતાના સર્જનમાં રંગોની પસંદગી, આકૃતિઓની રચના અને પ્રતીકોના ઉપયોગ દ્વારા વ્યક્તિગત અભિવ્યક્તિ ઉમેરે છે. તેથી કોઈ પણ બે પીઠોરા ચિત્રો એકસરખા જોવા મળતા નથી.

ચિત્રોમાં ક્યારેક પરંપરાગત ધનુષ્ય-બાણ તો ક્યારેક આધુનિક વાહનો અને સમકાલીન જીવનના દૃશ્યો પણ જોવા મળે છે. છતાં તેનો મૂળ સંદેશ અવિચળ રહે છે – માનવ, પ્રકૃતિ અને દૈવી શક્તિ વચ્ચે સુમેળ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના.

આગામી VGRC અને VGRE જેવા પ્લેટફોર્મ્સ પીઠોરા જેવી પરંપરાગત કલાઓને વૈશ્વિક ઓળખ અપાવવાની સાથે “આત્મનિર્ભર ભારત” અને “વિકસિત ગુજરાત”ના સંકલ્પને પણ નવી મજબૂતી પ્રદાન કરશે.

Related Posts