રાજ્ય સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી’ અંતર્ગત અમરેલી જિલ્લામાં યોજાયેલી પ્રગતિપથ યાત્રાનું જિલ્લા પ્રભારીમંત્રીશ્રી અને રાજ્યના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને સમાપન થયું હતું. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અને જનહિતના પ્રકલ્પોની મુલાકાત લઈ તેમની પ્રગતિનું અવલોકન કરવામાં આવ્યું હતું.
આ પ્રગતિપથ યાત્રામાં ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રા દરમિયાન અમરેલીની વિરાટ શેડ ધરાવતી એ.પી.એમ.સી.ની મુલાકાત લેવામાં આવી હતી. ઉપરાંત આશરે ૨૫ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સાવરકુંડલાના અમૃત સરોવરની મુલાકાત લઈ ત્યાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા ખાતે જિલ્લા પ્રભારીમંત્રીશ્રીનું સ્વાગત અને સત્કાર સમારંભ પણ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સાવરકુંડલા શહેરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે હાથ ધરાયેલા પ્રયાસોની પ્રશંસા કરતાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમૃત સરોવર જેવા પ્રકલ્પો માત્ર જળસંચય માટે જ નહીં, પરંતુ પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલાનું અમૃત સરોવર પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. ૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે બીજા તબક્કામાં રૂ. ૯ કરોડના ખર્ચે તેના વધુ વિકાસના કાર્યો પ્રગતિ હેઠળ છે.
પ્રગતિપથ યાત્રાના પ્રારંભ પૂર્વે અમરેલી ખાતે રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી સિદ્ધિઓને ઉજાગર કરતું પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારીમંત્રીશ્રીએ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલી વિકાસગાથાનું નિરીક્ષણ કર્યું હતું. પ્રદર્શનમાં અમરેલી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, માર્ગ અને મકાન સુવિધાઓ, ગ્રામ અને શહેરી વિસ્તારોમાં થયેલું વીજળીકરણ, નંદઘર પ્રકલ્પો, સિંચાઈ અને જળસંપત્તિ ક્ષેત્રે થયેલા વિકાસ સહિતની સિદ્ધિઓને તસવીરો અને માહિતીના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.
જિલ્લામાં વિકાસના વિવિધ આયામોને નજીકથી સમજવા અને જનકલ્યાણલક્ષી યોજનાઓના પરિણામોનું અવલોકન કરવા માટે યોજાયેલી આ પ્રગતિપથ યાત્રાએ વિકાસના કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું.


















Recent Comments