અમરેલી

સાવરકુંડલાના આંગણે સેવાનો ત્રિવેણી સંગમ: શ્રી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક યુરોલોજી કેમ્પનું આયોજન

​દવા સાથે દુઆની પળ અહીં                        મફતમાં મળે છે,

પીડા ભૂલાવી દે એવી તક અહીં                      મફતમાં મળે છે.

​ખુલે છે દ્વાર સેવાના હવે                      ‘કુંડલા’ની ધરતી પર,

કે માનવતા તણી મિલકત અહીં                          સાવ મફતમાં મળે છે.

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન સામે, ખાદી કાર્યાલય કેમ્પસમાં કાર્યરત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા માનવ સેવાના ઉમદા હેતુસર આવતીકાલે રવિવાર, તારીખ 03/05/2026 ના રોજ એક ભવ્ય નિઃશુલ્ક યુરોલોજી (મૂત્રમાર્ગના રોગો) નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં અમદાવાદના ખ્યાતનામ યુરોલોજી નિષ્ણાંત દંપતી પોતાની સેવાઓ આપશે. જેમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સ્ત્રી યુરોલોજીસ્ટ ડો. રાઈસા ગુપ્તા (MS) અને ડો. આદિત્ય ગુપ્તા (MS) દ્વારા દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

કેમ્પ દરમિયાન અત્યાધુનિક પદ્ધતિથી વિવિધ સારવારો કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે:

​કિડની અને મૂત્રમાર્ગની પથરીનું દૂરબીન દ્વારા ઓપરેશન.

​ચીરા વગરનું પ્રોસ્ટેટનું ઓપરેશન.

​મૂત્રાશયની સાંકળી નળી અને કેન્સરની સારવાર.

​પુરુષ વંધ્યત્વ જેવી સમસ્યાઓનું નિદાન.

​સૌથી મહત્વની બાબત એ છે કે આ કેમ્પમાં આવનારા દર્દીઓ માટે લોહી-પેશાબના રિપોર્ટ, નિષ્ણાત તબીબોની તપાસ, દવાઓ તેમજ જો જરૂર જણાય તો સર્જરી પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપવામાં આવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા આજુબાજુના ગ્રામ્ય અને શહેરના દર્દીઓને આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.તેમ આ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયાની એક યાદીમાં જણાવાયું હતું

Related Posts