ગુજરાત

‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં આ વર્ષે ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં પાણીના સંગ્રહનો વ્યાપ વધારવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના ઉમદા આશય સાથે ચલાવવામાં આવતું ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ જનભાગીદારી થકી એક જ્વલંત લોકઆંદોલન બની ચૂક્યું છે.

આ વર્ષે 'સુજલામ સુફલામ જળ અભિયાન' થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો થયો છે.જ્યારે છેલ્લા ૮ વર્ષમાં રાજ્યની જળ સંગ્રહશક્તિમાં રેકોર્ડબ્રેક કુલ ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટ જેટલો વધારો નોંધાયો છે.પાણી બચાવવા અને તેનો બગાડ અટકાવવા માટે લોકમાનસમાં જાગૃતિ આવે તેવી દીર્ઘદ્રષ્ટિ સાથે છેલ્લા ૦૮ વર્ષથી આ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે,
આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતેથી આ અભિયાનનો રાજ્યવ્યાપી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના કુશળ માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં મે ૨૦૨૬ સુધીમાં જુદા જુદા વિભાગોના સંકલનથી કુલ ૧૩,૩૧૫ કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત પરંપરાગત જળ સ્ત્રોતોના નવીનીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના ૨,૪૫૦ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૩,૬૬૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૧,૧૬૦ કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૬૨૬ કિ.મી. લંબાઈમાં નહેરો તથા ૧,૨૭૭ કિ.મી. લંબાઈમાં કાંસોની સાફસફાઈ કરવામાં આવી છે. આ કામો થકી જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે. આ સાથે શ્રમિકો માટે અંદાજે ૨.૩૦ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.

જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે,
આ અભિયાનને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના ૬ મુખ્ય વિભાગો – જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ, વન અને પર્યાવરણ, શહેરી વિકાસ , ગ્રામ વિકાસ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. એકસાથે મળીને કામગીરી કરી રહ્યા છે. આ કામોની મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે, જેમાં લોકભાગીદારી, મનરેગા યોજના અને વિભાગીય રીતે પૂર્ણ કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ આ અભિયાનની સિદ્ધિઓ‌ જણાવતાં કહ્યું હતું કે,લાંબાગાળાના આયોજન અને સખત પરિશ્રમના પરિણામે છેલ્લા ૮ વર્ષમાં કુલ ૧,૨૩,૬૩૫ કામો હાથ ધરવામાં આવ્યા હતા. જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવા તેમજ નવા તળાવોના ૩૯,૭૭૦ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૨૬,૮૭૩ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૭,૮૧૦ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ ૮૦,૭૯૩ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફસફાઇના કામો હાથ ધરવામાં કરવામાં આવ્યા હતા, જેના થકી જળ સંગ્રહશક્તિ ક્ષમતામાં કુલ ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે જેમાં ૨૦૬.૭૩ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે તેમ, મંત્રીશ્રીએ વિગતો આપતાં ઉમેર્યું હતું.

Related Posts