ગુજરાત

પત્નીના મોતના સમાચાર સાંભળી કોરોનાથી સ્વસ્થ થઇ આવેલ પતિનું પણ આઘાતમાં મોત

કહેવાય છે કે પતિ અને પત્નીનો સાત જન્મોનો સંબંધ લગ્નની વિધી બાદ જાેડાય જાય છે. લગ્ન બાદ થયેલા સાચા પ્રેમની કહાનીમાં વડોદરા શહેરમા રહેતા પત્નીના મોતના સમાચાર સાંભળીને કોરોનામાંથી સ્વસ્થ થઈને આવેલા પતિ આઘાતમા સરી પડતા ૨૪ કલાકમાં જ મોતને ભેટયા હતા.

શહેરના કારેલીબાગ વિસ્તારમા વિરનગર સોસાયટીમા પરિવાર સાથે ૬૬ વર્ષીય મણીભાઈ પૂજાભાઈ સોલંકી રહેતા હતા. તેઓ જીવનભારતી શાળા પાસે છેલ્લા ૩૫ વર્ષથી ચાની લારી ચલાવતા હતા. થોડા દિવસો અગાઉ મણીભાઈને તથા તેમની પત્ની મંગુબેનને કોરોના થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડા દિવસોની સારવાર બાદ મણીભાઈની તબિયતમા સુધારો આવતા તેમને હોસ્પિટલમાથી રજા આપીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની પત્ની મંગુબેનની તબિયત ગંભીર હોવાને કારણે તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.


બીજી તરફ મણીભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમના સગાઓએ મંગુબેનને મોતના સમાચાર મણીભાઈને આપ્યા હતા. વ્હાલસોયી પત્નીના મોતના સમાચાર સાંભળીને મણીભાઈ હતાશ થઈ ગયા હતા. તેવામા ગુરૂવારે સાંજે ચા પીતા પીતા એકાએક પત્નીની યાદમા તેઓ આઘાતમા સરી પડયા હતા અને બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમા શીફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ હતુ.

જાે કે તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમની અંતિમ વિધી પણ તેમની પત્ની મંગુબેનની જેમ જ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવી હતી. પત્ની મંગુબેનના મોત બાદ ૨૪ કલાકમા જ તેમના પતિ મણીભાઈનુ પણ મોત નીપજ્યુ હતુ.

Related Posts