અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/07/FWFJBybWAAILBVo-1140x620.jpg)
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં હરણફાળ ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન થવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે, “વંદે ગુજરાત વિકાસ યાત્રા” દરમિયાન રાજ્ય સરકારના વિવિધ ૧૮ જેટલા વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, મંજૂર થયેલા નવા કામ, જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય, યોજનાઓનો પ્રચાર – પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથાઓ સહિતના લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા મંગળવારથી ૧૯ તારીખ સુધી ૩૪ જિલ્લા પંચાયતની પ્રત્યેક સીટ દીઠ બે ગામ અને ૦૯ નગરપાલિકાના ૧૨ વિસ્તારોમાં ૦૩ રથ ભ્રમણ કરશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમહૂર્ત થશે. અને તે સાથે લાભાર્થીઓને વિવિધ યોજના તળે લાભોનું વિતરણ કરવામાં આવશે.
અમરેલીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.૦૫ જુલાઈના રોજ સાંજે ૦૫ કલાકે જેસિંગપરા શિવાજી ચોક ખાતે વિધાનસભાના માનનીય દંડકશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાશે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત અમરેલી જિલ્લામાં રૂ.૯૫૬.૩૧ લાખના ૩૩૫ સામુહિક કામોનું લોકાર્પણ થવાનું છે. જ્યારે રૂ.૫૭૧૦.૭૮ લાખ રૂપિયાના ૩૩૧ કામોનું ખાતમહૂર્ત થવાનું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેના અમરેલી જિલ્લાના આશરે ૨,૩૯૫ લાભાર્થીઓને રુ. ૨૫૯.૪૦ લાખની સહાય અને વિવિધ સહાય યોજના લાભ તરીકે આપવામાં આવશે.
Recent Comments