સાવરકુંડલા નદી બઝારમાં બેસતી શાકમાર્કેટમાં ગઈકાલનાં કમોસમી વરસાદને કારણે ગંદા પાણી વહી રહ્યાં છે
આમ તો ગઈકાલે લગભગ સાંજના છ વાગ્યા આસપાસ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસવાનો શરૂ થયો. જોતજોતામાં તો આ ફાગણ માસમાં જાણે અષાઢ પૂર્ણ કળાએ ખીલ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા. જો કે આ તો માવઠુ એટલે ચોમાસું તો કેમ કહેવું.? ખેડૂતો પણ આ કમોસમી વરસાદને કારણે ચિંતાગ્રસ્ત હતાં.. અરે! આજે બીજા દિવસે પણ બપોરના સમયે નાવલી નદીની શાકમાર્કેટ વચ્ચે પાણી વહી રહ્યાં હતાં. એ ગંદા પાણી વચ્ચે શહેરના તંદુરસ્ત નાગરિકો શાકભાજી ખરીદવા મજબૂર હતાં.. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આ શાકમાર્કેટનો ઉધ્ધાર ક્યારે થશે?
ક્યાં સુધી શાકભાજીના વેપારીઓએ આવા વિપરીત વાતાવરણમાં શાકભાજી વેચવા મજબૂર થવું પડશે? તંત્ર દ્વારા આ શાકમાર્કેટ માટે ક્યારે કોઈ હાઈજેનીક સ્થાન ફાળવવામાં આવશે? એવાં અનેક સવાલો મોં ફાડીને ઉભા છે. ખરેખર ટોચના રાજકીય આગેવાનો અને અધિકારીઓએ આવી પરિસ્થિતિમાં શાકમાર્કેટમાં શાક ખરીદવા નીકળવું જોઈએ.. કદાચ તો ખ્યાલ આવે કે ખરેખર સાવરકુંડલા નદીમાં બેસતી શાકમાર્કેટની વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે? ઇચ્છીએ કે શાકમાર્કેટને આ વિષમ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સલંગ્ન તંત્ર દ્વારા વહેલી તકે કોઈ ઠોસ પગલાં લેવામાં આવે. કદાચ કોઈ ટેલન્ટેડ ફિલ્મસર્જક આ પરિસ્થિતિની ડોક્યુમેન્ટરી બનાવે તો કદાચ આ શાકમાર્કેટનો ભાગ્યોદય થઈ શકે.!!
Recent Comments