સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પરિચય વ્યાખ્યાન યોજાયું
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/IMG-20230805-WA0014-1140x620.jpg)
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન -કવન-સાહિત્ય પર આધારિત એક પરિચય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ.ડો.એસ.સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં વક્તાનો પરિચય આપી શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર- ગીરના પ્રવાસો કરી ઉત્તમ લોક સાહિત્યનું કઈ રીતે સર્જન કરેલ? તે અંગે વાત કરેલ, વધુમાં તેઓએ જણાવેલ કે આજના સાંપ્રત સમયમાં એક પણ લોકડાયરો એવો નહીં હોય જેમાં મેઘાણી સાહિત્ય કે લોકગીતોનો ઉલ્લેખ થતો ન હોય.
વક્તા શ્રી શાંતિભાઈ રાણીંગાએ ૪૫ મિનિટના પોતાના અસ્ખલિત વ્યાખ્યાનમાં મેઘાણી જીવન-કવન-લોક સાહિત્ય-લોકગીત સર્જનની અસંખ્ય વાતો ખૂબ જ રસપ્રદ રીતે કરેલ તેમજ પોતાના વ્યાખ્યાનમાં મેઘાણીની સાહિત્ય સર્જનની વાતો સાથે લોકગીતોની રમઝટ બોલાવી વિદ્યાર્થીઓને રસ તરબોળ કરી દીધેલ.
આકાશવાણી કેન્દ્ર રાજકોટના લોકગાયક શ્રી શાંતિલાલ રાણીંગા છેલ્લા ઘણા વર્ષોથી મેઘાણી કથા કરે છે અને આ કથા દ્વારા ૩૦૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાના વ્યાખ્યાન આપી ચૂક્યા છે. તેમના દ્વારા આ મેઘાણી કથા સંપૂર્ણ નિશુલ્ક કરવામાં આવે છે તેમજ જ્યાં કથા કરવાની થાય ત્યાં સરકારી બસ મારફત જ મુસાફરી કરે છે.
કાર્યક્રમના અંતે પ્રિ.ડો.એસ.સી. રવિયાએ વક્તા શ્રી શાંતિભાઈ રાણીંગાનો વિશેષ આભાર વ્યક્ત કરેલ તેમજ આગામી તા.૨૮/૮/૨૩ના રોજ શ્રી ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ દિવસ નિમિત્તે મેઘાણી કથાનું કોલેજના જ યજમાન પદે ભવ્ય આયોજન કરેલ છે તે માટે તેઓને ફરી આમંત્રિત કરેલ. સમગ્ર વ્યાખ્યાનનો વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક આનંદપૂર્વક લાભ લીધેલ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ સ્ટાફ પરિવારે વિશેષ જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Recent Comments