સાવરકુંડલા શહેરમાં આજરોજ મહિલા અધ્યાપન મંદિર ખાતે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત શિબિર યોજાઇ.
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/IMG-20231226-WA0044.jpg)
સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા અધ્યાપન મંદિર ખાતે આજરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, રવિભાઈ મહેતા, દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે કઈ નોંધનીય બાબતો ધ્યાન પર લેવી જોઈએ તે વિશે વિશદ છણાવટ કરવામાં આવી હતી. ખાસ કરીને ખરીદી દરમિયાન પાકું બિલ અવશ્ય લેવું. એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવેલ. આમ તો આ મહિલા અધ્યાપન મંદિર હોવાથી ભવિષ્યના શિક્ષિકા તરીકે ફરજ બજાવવાની થવાની હોય ત્યારે ગ્રાહક સુરક્ષા વિષયે વિદ્યાર્થીઓને પણ આ કાયદાનું વિશદ જ્ઞાન પીરસવું એવી શીખ પણ આ શિબિરમાં આપવામાં આવેલ.
વળી મહિલાઓ જ મોટેભાગે જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરતાં હોય છે એટલે ગ્રાહક સુરક્ષા અધિનિયમની જાણકારી હોય તો મોટેભાગે છેતરપિંડીથી બચી શકાય છે એ વાત પણ મુખ્ય સૂરમા કરવામાં આવેલ. આ તકે ગ્રાહક સુરક્ષા સંબંધિત વિવિધ પાસાઓની તલસ્પર્શી માહિતી આપતાં પેમ્પેલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉપસ્થિત તમામ વકતાઓને વિદ્યાર્થીનીઓએ સાંભળ્યા હતાં અંતમાં અધ્યાપન મંદિરના પ્રાધ્યાપક ભાવેશભાઈ દ્વારા આભાર વિધિના પ્રવચન દરમિયાન ગ્રાહક સુરક્ષા સંબંધિત કાયદો ખરેખર તમામ માટે જીવનઉપયોગી હોય તે બાબત પણ સ્પષ્ટ કરેલ. આમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં આ શિબિરનું સમાપન કરવામાં આવેલ.
Recent Comments