મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠીના દુધાળા ગામે જળસંચયના કાર્યોનું નિરીક્ષણ કર્યુ
અમરેલી જિલ્લાના રુ. ૨૯૨ કરોડના ૭૭ વિકાસ કાર્યોના લોકાર્પણ- ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠીના દુધાળા ગામે આવેલા નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળસંચયના કાર્યોને વેગ આપવા માટે જરુરી પરામર્શ કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીને શ્રી સવજીભાઈ ધોળકિયાએ ગાગડીયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળસંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિથી અવગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. બાળાઓએ પુષ્પ પાંખડીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, લાઠી પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, ધોળકિયા પરિવારના મોભી શ્રી ધનજી બાપા, શ્રી તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments