લોકભારતી સણોસરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉદ્દઘાટન
ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્રનું સોમવારે ઉદ્દઘાટન થશે. રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે લોકભારતી વિશ્વવિદ્યાલય અંતર્ગત આયોજન થયેલ છે.
રાષ્ટ્રની સર્વ પ્રથમ ગ્રામવિદ્યાપીઠ એટલે ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા. ગ્રામઉદ્ધાર માટે ગ્રામકેળવણી અને ગ્રામવિકાસ હેતુ પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટ અને પદ્મભૂષણ શ્રી મનુભાઈ પંચોળી દ્વારા મહાત્મા ગાંધીજીના નઈતાલીમના સિદ્ધાંતો ઉપર વર્ષ ૧૯૫૩માં સણોસરા ખાતે લોકભારતી સંસ્થાની સ્થાપના થઈ છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં કૃષિ, પશુપાલન સાથે ઉચ્ચ શિક્ષણ પ્રણાલીના અભ્યાસક્રમો ચાલે છે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનું આ કેન્દ્ર છે.
લોકભારતી સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૨માં ખાનગી વિશ્વ વિદ્યાલય તરીકે વધુ એક ઉપક્રમ પ્રારંભ કર્યો છે. લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસક્રમમાં પ્રાકૃતિક કૃષિ, કૃષિ પ્રક્રિયા, વાણિજ્ય, પશુપાલન, અંગ્રેજી, મનોવિજ્ઞાન જેવા વિષયોમાં ગ્રામીણ વિદ્યાર્થીઓ જોડાયા છે, જેઓ અહી ગામડાના મુખ્ય પ્રશ્નો પ્રાચીન વિદ્યા સાથે આધુનિક તંત્રિકીનો સુમેળ કરી તેના ઉકેલ મેળવવા કાર્યરત છે. વિશ્વશાંતિના પાયામાં ગામડું છે, કારણ કે ત્યાં જ ઋષિ અને કૃષિ સંસ્કૃતિ જોડાયેલ છે.
આ મૂલ્ય શિક્ષણ સંદર્ભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્રનું સોમવારે બપોરે ઉદ્દઘાટન થશે. તેઓ સંસ્થા પરિસરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી વિશ્વવિદ્યાલયના વિભાગોની મુલાકાત લેશે.
રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે લોકભારતી વિશ્વવિદ્યાલય અંતર્ગત થયેલ આયોજનમાં સંસ્થાના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ થઈ રહી છે.
Recent Comments