ભાવનગર જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત તા. ૧ ઓક્ટોમ્બરના રોજ “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/citywatch-16-300x132-5-1024x451-32.jpg)
મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તા. ૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ “સ્વચ્છતા હી સેવા’’ અભિયાનને સાર્થક કરવાં ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની સાફ-સફાઈ અંગે કરવાના શ્રમદાન અંગે જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ૧ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ વાગ્યે “સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અન્વયે દેશના તમામ ગામ તથા શહેરી વિસ્તારોને લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાનનું આયોજન થનાર છે. જેમાં ભાવનગર જિલ્લાનું દરેક ગામમાં આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આજુબાજુનો વિસ્તાર, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ મહાશ્રમદાનનું આયોજન થનાર છે. આ ઉપરાંત શહેર કક્ષાએ વોર્ડ વાઇઝ બે સ્થળોએ મહાશ્રમદાન આયોજન થશે.
ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી આ બેઠકમાં રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.જે.ભગદેવ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન. વી. ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
Recent Comments