સુકી ખેતી સંશોધન કેન્દ્ર, વલ્લભીપુર ખાતે “પ્રાકૃતિક કૃષિ” વિષય પર પરિસંવાદ યોજાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/12/citywatch-16-300x132-5-1024x451-67.jpg)
ભાવનગરનાં વલ્લભીપુર તાલુકામાં આવેલ સુકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. કુલ ૧૬ જેટલા જુદા જુદા વિષય/વિભાગનાં પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ શ્રી જે.એન.પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત, કાર્યક્રમની રૂપરેખા અને પ્રાકૃતિક કૃષિ અંગે માહીતગાર કર્યા હતા. પ્રાકૃતિક કૃષિમાં સફળ ખેડૂતો દ્વારા પોતાની ભાષામાં પોતાના અનુભવો રજુ કરવામાં આવ્યા હતા.
નાયબ બાગાયત નિયામકશ્રી એમ.બી વાઘમશી દ્વારા બાગાયતી યોજનાઓ અને બાગાયતી પાકમાં પ્રાકૃતિક કૃષિ અંગે અને મદદનિશ સંશોધન વેજ્ઞાનિક શ્રી ડી.વી.ગોહીલ દ્વારા સુકી ખેતી સંશોધન કેન્દ્રની પ્રવૃતિઓ વિશે અને કે.વી.કે. સણોસરા શ્રીમતી શીલાબેન બોરીચા દ્વારા મિલેટ્સનું માનવ જીવનમાં મહત્વ વિશે જાણકારી આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગઢડાનાં ધારાસભ્યશ્રી શંભુપ્રસાદ ટુંડીયા દ્વારા પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને આવનાર સમયમાં તેની જરૂરીયત વિષે પોતાની આગવી શૈલીમાં ભલામણ કરી હતી. પ્રાકૃતિ કૃષિના માનવ જીવનમાં ફાયદા અને રાસાયણિક ખેતી ખરાબ પરીણામ વિશે ખેડૂતોને જાણકારી આપીને આગામી સમયમાં કૃષિ મેળામાં હાજર રહેલ તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે અંગે ખેડૂતોને હાકલ કરી હતી.
ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા શ્રી જયપાલ ડી. ચાવડા દ્વારા કાર્યક્રમની આભારવિધી કરીને કાર્યક્ર્મને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પરિસંવાદ કાર્યક્રમમાં નિયામકશ્રી આત્મા અને સ્ટેટ નોડલ ઓફીસર, ગાંધીનગર શ્રી પી.એસ.રબારી, જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રી એ.એમ.પટેલ,પ્રોજેક્ટ ડાયરેક્ટર,આત્મા શ્રી જે.એન.પરમાર સહિતનાં અધિકારીશ્રીઓ અને આશરે ૬૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments