૩૫ દિવસ બાયપેપ ઉપર રહી ૮૪ વર્ષીય વૃદ્ધે કોરોનાને હરાવ્યા
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/DAHOD.jpg)
દાહોદના ૮૪ વર્ષીય વૃદ્ધ કોરોનામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ બાદ પણ જીવવાની જીજીવિષા થકી ૩૫ દિવસે મહામારીને માત આપીને ઘરે હેમખેમ પરત આવ્યા છે. દાહોદના ગોદીરોડ સ્થિત હકીમી સોસાયટીમાં રહેતા ૮૪ વર્ષીય ફકરૂદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલાને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બે-ત્રણ દિવસ શારીરિક અસ્વસ્થતા સાથે તાવ જણાતા રીક્ષા ન મળતા ઘરેથી બહાર પુલ સુધી વૃદ્ધ પત્નીના સહારે લાવી તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સ્વજનોને જાણ કરી. જ્યાં તેમની ઉંમર અને ગંભીર હાલત જાેતાં તબીબોએ તેમના રિપોર્ટ કાજે સેમ્પલ લઈને તેમને દાખલ કરી દીધા હતા. દરમ્યાનમાં તા.૨૭ ડિસેમ્બરે તેમને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું.
આ સમયે તેમના બે પુત્રો પૈકી એક મસ્કત અને બીજાે પુત્ર દુબઈ ખાતે હોઈ તેમના લઘુબંધુ નજમુદ્દીન ગાંગરડીવાલાએ ડો.નીનામાને, પોતાના ભાઈની હાલતની પૃચ્છા સાથે તેમને યોગ્ય સારવાર આપવા જણાવ્યું હતું. પરંતુ, વૃદ્ધાવસ્થાની સાથે દર્દીને ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે વ્યાધિઓ હોઈ પરિસ્થિતિ કથળતા ઓકસિજન અને બાદમાં બાયપેપ મશીન ઉપર ખસેડવાની નોબત આવી હતી. દરમ્યાનમાં તેમના બંને પુત્રો પણ દાહોદ આવી ચુક્યા હતા. તેવામાં વડીલની હાલત વધુ ગંભીર બનતા હોસ્પિટલ તરફથી સ્વજનોને જાણ કરાતાં ૧૩ દિવસ દાહોદની ઝાયડસ હોસ્પિટલની સારવાર બાદ ફેફસામાં ૯૫ % ઈન્ફેકશન સાથે કીડનીમાં સર્જાયેલ તકલીફથી શરીરે સોજાે કે પેશાબની તકલીફમાં સુધારો ન આવતા તા.૯.૧.’૨૧ ના રોજ વડોદરાથી બાયપેપવાળી એમ્બ્યુલન્સ મંગાવી તેમને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.
તા.૯ થી ૨૨ જાન્યુઆરી સુધી બાયપેપ અને બાદમાં સુધારો જણાતા ૨૨ થી ૨૭ જાન્યુ.સુધી ઓક્સિજન અને ૨૭ થી ૩૦ જાન્યુ. સુધી સામાન્ય ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. અંતે લગભગ રૂ.૧૨ લાખ જેટલા ખર્ચ થયા બાદ રજા પામ્યા બાદ હવે દાહોદ સ્થિત પોતાના ઘરે હેમખેમ પરત આવતા જેમની છેક અંત ઘડી ગણાતી હતી તેવા વૃદ્ધ હેમખેમ પરત આવતા સહુ સ્વજનોને સ્વાભાવિક ધરપત થઈ છે.
Recent Comments