નારોલમાં મૃત કબૂતરોનો બર્ડ ફ્લૂ રિપોર્ટ નેગેટિવ, તંત્રએ રાહતનો શ્વાસ લીધો

શહેરના નારોલ વિસ્તારમાં બે દિવસમાં ૨૦૦થી વધુ કબૂતરોના મોત બાદ બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જાે કે મૃત કબૂતરોનો બર્ડ ફ્લૂ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નારોલ વિસ્તારમાં બુધવારે ૧૯૦ અને ગુરુવારે બીજા ૧૪ કબૂતરોના અચાનક મોત થવાની ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ પશુ પાલન વિભાગને જાણ કરતાં તેમની ટીમે મૃત કબૂતરના સેમ્પલને ભોપાલ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. જાે કે તેમનો બર્ડ ફ્લૂ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
હાલ કબૂતરો ક્યાં કારણોસર મોતને ભેટ્યા? તેની તપાસ કરવા માટે એએમસીના હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી છે. જાે કે આ કબૂતરોના મોત એર પોલ્યુશન અથવા કેમિકલ રિએક્શનના કારણે થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં એવિયન ઈન્ફ્લૂએન્જા એટલે કે બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ ૮ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લામાં બે મૃત પક્ષીઓના સેમ્પલની તપાસમાં તેઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ હતી. જે બાદ સુરત, વડોદરા અને બારડોલી જેવા રાજ્યના અનેક ભાગોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા રહ્યાં છે.
Recent Comments