સલાબતપુરામાં ૨૫થી વધુના ટોળાનો બે ભાઇઓ અને સગર્ભા પર જીવલેણ હુમલો
સુરતના સલાબતપુરાના મિલનનગરમાં બુધવારની રાત્રે ૨૫થી વધુના ટોળાએ બે ભાઈઓ અને સગર્ભા પર જીવલેણ હુમલો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પારિવારિક ઝગડો રોડ પર આવી જતા ઉશ્કેરાયેલા શનિ નામના ઇસમે ટોળાને બોલાવી સાસરિયાના પાડોશીઓને જ જાહેરમાં માર માર્યો હોવાનું ઇજાગ્રસ્તો એ જણાવ્યું છે. હાલ બે ભાઈઓ અને સગર્ભાને સિવિલમાં દાખલ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ગણેશ બેલા (ઇજાગ્રસ્ત વેંકેટેશ્વર બેલાનો ભાઈ) એ જણાવ્યું હતું કે, રાત્રે ભોજન કરી ભાઈ અને એના મિત્રો જિશાનના ઘર બહાર બેઠા હતાં. ત્યારે અચાનક સામેના મહોલ્લામાં ચાલતો પારિવારિક ઝગડો રોડ ઉપર આવી ગયો હતો. જેને લઈ મહોલ્લાનો જમાઈ શનિ ઉશ્કેરાય ગયો હતો. ત્યાં બેઠેલા ઈસમો સાથે ઝઘડો શરૂ કરવા લાગ્યો હતો. બાદમાં ‘ઉભો રહે તને બતાઉ છું’ કહી ચાલ્યો ગયો હતો.
થોડી જ વારમાં શનિ ૨૫ જેટલા લોકોના ટોળા સાથે પરત આવ્યો હતો, ને સીધો તૂટી પડ્યો હતો. વેંકેટેશ્વર, જિશાનને માર મારતા જિશાનની સગર્ભા પત્ની રિઝવાના બચાવવા આવી હતી. જેને લાત મારતા તેની હાલત બગડી ગઈ હતી. તાત્કાલિક ત્રણેયને સારવાર માટે સિવિલ લઈ આવતા દાખલ કરી દેવાયાં હતાં. સગર્ભા રિઝવાનાને ૩૦ અઠવાડીયાનો ગર્ભ છે. હુમલા કરનારાએ વાહનોની પણ તોડફોડ કરી હોવાનું ગણેશ બેલાએ વધુમાં ઉમેર્યું હતું. હાલ સમગ્ર મુદ્દે સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી છે.
Recent Comments