વડાપ્રધાન મોદીના માતાએ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં આરતી ઉતારી
વડાપ્રધાન મોદીના માતા હીરાબાના ૧૦૦માં જન્મ દિવસે ગુજરાત આવેલા નરેન્દ્ર મોદી વહેલી સવારે માતાને મળવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ચરણ સ્પર્શ કરીને માતાના આશિર્વાદ લીધા હતાં. ત્યાર બાદ નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે મહાકાળી મંદિરમાં ધજા ચડાવવા ગયાં હતાં. જ્યારે હીરા બા તેમના પરિવારજનો સાથે અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ભગવાન જગદીશની આરતી ઉતારી હતી. મંદિરમાં સાધુ સંતોનો ભંડારો યોજવામાં આવ્યો હતો. હીરાબાએ ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગદીશની પૂજા કરી હતી. ત્યાર બાદ તેમણે ભગવાનની આરતી ઉતારી હતી. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ સંતો તેમજ હીરાબાના પરિવારજનો માટે ભંડારો રાખવામાં આવ્યો છે. આ ભંડારામાં દાળ-ભાત, લાડુ, પુરી પીરસવામાં આવશે.
વડાપ્રધાન મોદી માતાના આશિર્વાદ લેવા માટે સવારે ૬.૩૦ વાગ્યે માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. પીએમ મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત પોતાની માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો.
Recent Comments