થરાદમાં સગીરાના પિતા સામે હત્યાનો ખોટો ગુનો નોંધ્યો, કોર્ટે પોલીસને ટકોર કરી કે, ઘટનાની તપાસનો આદેશ કર્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/09/File-01-Page-13-5-1140x620.jpg)
પોક્સોની ફરિયાદમાં આરોપીઓ સાથે સમાધાન નહીં કરતા સગીરાના પિતા સામે થરાદના પોલીસે હત્યાના પ્રયાસની ખોટી એફઆઇઆર કરતા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. જસ્ટિસ નિખિલ કરેઇલે પોલીસની ભૂમિકા સામે સખત નારાજગી દર્શાવી હતી. હોસ્પિટલમાં આરોપીઓએ ઇજા થઇ હોવાની રજૂઆત કરી ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ પોલીસને જાણ કેમ ન કરી? કોર્ટે એવી ટકોર કરી હતી કે, પોલીસ ઓફિસર અને ડોકટર બધા જેલ ભેગા થશે. થરાદના સિનિયર પોલીસ અધિકારીને ઘટનાની તપાસ કરવા આદેશ કર્યો છે. ભોગ બનનાર સગીરાના ભાઇ તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવેએ સિનિયર રાહુલ શર્મા સાથે એવી રજૂઆત કરી હતી કે, બનાસકાંઠાના થરાદમાં ૧૪ વર્ષની સગીરા સાથે બે વખત જાતીય સતામણી કરનાર ચાર નરાધમોએ જ્ઞાતિના વડીલો દ્વારા સગીરાના પિતા સાથે સમાધાન કરવા પ્રયાસો કર્યા હતા, પરંતુ પિતાએ સમાધાન કરવાનો ઇન્કાર કર્યો હતો.
તેથી બીજી વખત સગીરા સાથે સતામણી કરવામાં આવી હતી. તેથી સગીરાના પિતાએ વાવ પોલિસ સ્ટેશનમાં પોક્સો હેઠળ એફઆઇઆર નોંધાવી હતી. ૪ આરોપી પૈકી ચોથા આરોપી બ્રિજેશ જેહાણીના પિતા બનાસકાંઠામાં હેલ્થ ઓફિસર છે. બ્રિજેશ જેહાણી સામે પોક્સોનો ગુનો નોંધાતા તેણે સગીરાના પિતા દ્વારા હુમલો થયો હોવાથી ઇજા પહોચી છે તેવી ખોટી ફરિયાદ નોંધાવી હતી. જાે કે આ ફરિયાદ બાદ અરજદારે સીસીટીવી કેમેરાના ફૂટેજ દર્શાવતા તેમા કોઈ પણ જાતની મારામારી થઇ હોવાનું સાબિત થયું નહોતું. તેમ છતાં બ્રિજેશ જેહાણીએ પિતા પાસે ખોટી રીતે ઇજાનું સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ કેસમાં અરજદારે કોર્ટ સમક્ષ પોલીસની મિલીભગત હોવાનું જાહેર કર્યું હતું. કોર્ટે એવી ટકોર કરી હતી કે, આરોપીનો પિતા ડોક્ટર હોવાથી ખોટું સર્ટિફિકેટ આપ્યું હોય તો આ કેસમાં પોલીસ ઓફિસર સહિત સંડોવાયેલા તમામ લોકોને જેલભેગા કરવામાં આવશે.
Recent Comments