ખંભાતની મિલમાંથી ૧૩.૭૫ લાખના ચોખા લઈ જઈ કન્ટેનરના ચાલકે બારોબાર બીજે વેચી દીધા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/11/File-01-Page-20-1-1140x620.jpg)
ખંભાત તાલુકાના કંસારી ગામે આવેલી એક રાઈસ મિલમાંથી મુંબઈમાં જુદા જુદા વેપારીઓને પહોંચાડવાના રૂપિયા ૧૩.૭૫ લાખની કિંમતના ચોખા કન્ટેનરને ચાલકે મૂળ વેપારીઓને પહોંચાડવાના બદલે બીજે વેચી દીધા હતા. રસપ્રદ બાબત તો એ છે કે, કન્ટેનરને ચાલકોનો કોઈ સંપર્ક ન થતાં રાઈસ મિલના માલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા, જ્યાં મુંબઈમાં તપાસ કરતાં સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયા હતો. ખંભાત શહેરમાં જૂની મંડાઈ માલીવાલ વિસ્તારમાં વિનયભાઈ અશ્વિનભાઈ રાણા રહે છે. તેઓ ખંભાતના કંસારી જીઆઇડીસીમાં પરેશકુમાર લાલજીભાઈ ઠક્કરની હર ભોલેનાથ રાઈસ મીલમાં મહેતાજી તરીકે નોકરી કરે છે. આ રાઈસ મીલમાંથી ગુજરાત રાજ્ય તેમજ બહારના રાજ્યોમાં દલાલ મારફતે ચોખા મોકલવામાં આવતા હોય છે. ન્યૂ મુંબઈ સ્થિત વાસી ખાતે રહેતા ભાવેશ ભાઈ ગજેરા અને હરેશભાઈ જાડેજા શીતલ કેનવાસી નામની દલાલની ઓફીસ ચલાવે છે.
ગત ૧૫મી ઓક્ટોબરે હર ભોલેના રાઈસ મીલના માલિક હરેશ કુમાર ઠક્કરને ફોન કરીને તેમણે અલગ અલગ બ્રાન્ડના ચોખા મંગાવ્યા હતા. જેથી મીલમાં મહેતાજી તરીકે કામ કરતા વિજયભાઈ અશ્વિનભાઈ રાણાએ મુંબઇથી રણજીત રોડ લાઈન્સનું કન્ટેનર મોકલાયું હતું. જેમાં ચાલક તરીકે સુનિલકુમાર છોટેલાલ યાદવ (રહે. ગ્રાઉન્ડ ફ્લોર, ભારતીય કમલા નગર, એસ. પી. રોડ, વડાલા, ઈસ્ટ, અટોપ હિલ, મુંબઈ) લઈને આવ્યો હતો અને મીલમાંથી ઓર્ડર પ્રમાણેના રૂપિયા ૧૩.૭૫ લાખની કિંમતની ચોખાની બેગો મુંબઈના અલગ અલગ વેપારીઓને પહોંચાડવા માટે લઈને નીકળ્યો હતો.
પરંતુ ટ્રક ડ્રાઇવર સુનિલ કુમાર યાદવે વેપારીઓને ચોખા પહોંચાડવાને બદલે બારોબાર બીજે વેચી દીધા હતા. દરમિયાન, બીજી તરફ જે વેપારીઓએ ઓર્ડર આપ્યો હતો તેમની પાસે ચોખા ન પહોંચતા તેમણે કંસારી મિલમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસમાં ચાલકોનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો. દરમિયાન, આ મામલે કંસારી મિલના માલિકોએ ખંભાતી પોલીસ સ્ટેશનમાં ચાલકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યાં તેઓએ મુંબઈમાં જઈને તપાસ કરતાં કન્ટેનર ભરેલાં ચોખા ગોવંડી ખાતેથી મળી આવ્યું હતું. આમ, ખંભાતી શહેર પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments