આણંદના સોજિત્રા પાસે કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું,પત્નીની નજર સામે પતિનું મોત
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/11/File-01-Page-21-8-1140x620.jpg)
સોજિત્રાના આણંદ રોડ પર ઇસણાવ ગામ પાસે પુરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે એક્ટિવા સવાર દંપતી હડફેટે ચડી ગયું હતું. જેમાં પતિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. નડિયાદના એસટીનગર પાસે રહેતા ચિંતનકુમાર રાવળ સોજિત્રાના વતની છે, પરંતુ તેઓ માતા – પિતા ભાઈ સાથે નડિયાદ સ્થાયી થયાં છે. સોજિત્રા ખાતે ૭મીના રોજ માતાજીના નૈવેધ કરવાના હોવાથી ચિંતનકુમાર પરિવાર સાથે ગયાં હતાં. જ્યાં તેમના પિતા ગોપાલભાઈ રણછોડભાઈ રાવળ (ઉ.વ.૫૫) અને માતા રમીલાબહેન (ઉ.વ.૫૦) બન્ને જણા એક્ટીવા લઇને પહોંચ્યાં હતાં. મહત્વનું છે કે જરૂરી ધાર્મિકવિધિ પુરી કર્યા બાદ ગોપાલભાઈ અને રમીલાબેન પરત નડિયાદ જવા એક્ટીવા પર નિકળ્યાં હતાં.
દરમિયાનમાં ઇસણાવ ગામ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકની બેદરકારીના કારણે ગોપાલભાઈનું એક્ટીવા હડફેટે ચડી ગયું હતું. જેના કારણે તેના પર સવાર ગોપાલભાઈ અને રમીલાબહેન રસ્તા પર જ ફંગોળાતા બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ગોપાલભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રમીલાબહેનને ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે સોજિત્રા પોલીસે કાર નં.જીજે ૨૩ સીબી ૧૯૦૭ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments