મહીસાગરના કડાણામાં ૮૦ હજાર સામે ૨ લાખ વસૂલી કરી ૬ લાખની માગણી કરતો વ્યાજખોર ઝડપાયો
સમગ્ર રાજ્યભરમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને સામે આવીને વધુ વ્યાજ વસૂલનારા વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસ અલગ અલગ વિસ્તારોમાં સતત લોક દરબાર યોજીને જાગૃતી ફેલાવી રહી છે. તેવામાં મહીસાગર જિલ્લામાં ૮૦ હજાર સામે ૨ લાખની વસૂલી કર્યા બાદ પણ વધુ ૬ લાખની માગણી કરનારા વ્યાજખોરની પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં કિરીટસિંહ પુવાર નામના આરોપી સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ફરિયાદીને ૮૦ હજાર આપ્યા તેની સામે ૨.૧૫ લાખ રૂપિયા લીધા હતા. જાેકે તેમ છતાં પણ વધુ ૬ લાખ રૂપિયાની માગણી કરી રહ્યો હતો.
આથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી કિરીટસિંહની અટકાયત કરી લીધી છે. અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા સતત લોકોને આવા વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાના નાયબ જિલ્લા પોલીસ વડા પી.એસ.વળવી દ્વારા સમગ્ર બનાવ અંગે તપાસ કરી રજિસ્ટર સહિત અન્ય વસ્તુઓ કબ્જે કરી વ્યાજખોર આરોપી સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. તેમજ વધુમાં નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે તેઓએ અપીલ કરી છે. મહીસાગર જિલ્લામાં વ્યાજખોરો સામે અત્યાર સુધીમાં ૧૨ જેટલી અરજીઓ અલગ અલગ તાલુકાના પોલીસ મથકે મળી છે.
Recent Comments