રાજકોટમાં ગણેશની ૯ ફૂટ કરતાં ઊંચી મૂર્તિ બનાવનાર કારીગરની જાહેરનામા ભંગ બદલ ધરપકડ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/File-02-Page-19-9-1096x620.jpg)
આ વર્ષે રાજકોટમાં ગણેશોત્સવમાં ૯ ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિના સ્થાપન પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે હવે ગણપતિની નવ ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવનાર મૂર્તિકાર સામે ગુનો નોંધાયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાલભવનની અંદર ૯ ફૂટ કરતા ઊંચી મૂર્તિ બનાવતા મૂર્તિકાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરનામાની અમલવારી થાય તે માટે ચેકિંગ દરમિયાન ૯ ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવતા હોવાનું સામે આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની સાત મૂર્તિ જાેવા મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ મામલે પ્રદીપ પ્રાણ કૃષ્ણપાલ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જાહેરનામું એક મહિના પહેલા બહાર પાડવામાં આવ્યું જાે કે આ મૂર્તિઓ છેલ્લા ત્રણ મહિનાથી બની રહી છે. નોંધનીય છે કે, આ વર્ષે ગણેશ મહોત્સવનો પ્રારંભ ૧૮ સપ્ટેમ્બરથી થવાનો છે. જેને લઇને પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ પહેલા ગણેશ મહોત્સવને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું હતું. જે મુજબ ૯ ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સાથે જ પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિ બનાવવા, વેચવા કે સ્થાપના કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કે વેચાણ પણ કરી શકાશે નહીં. ગણેશ વિસર્જન નક્કી કરાયેલા સ્થળો સિવાય અન્ય કોઈ જગ્યાએ કરી શકાશે નહીં. ગણેશ પંડાલોમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો ફરજિયાત રાખવા આદેશ આપવામાં આવ્યા છે.
Recent Comments