જૂનાગઢમાં ભવનાથના શિવરાત્રીનાં મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
માત્ર બે દિવસમાં ૬ લાખથી વધુ ભાવિકોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી જુનાગઢમાં ભવનાથમાં સોરઠ મહાશિવરાત્રીના મેળાનો આજે ત્રીજાે દિવસ છે. દેશ વિદેશથી સાધુ સંતો અને ભાવિકો અહીં પૂણ્યનું ભાથુ બાંધવા આવી પહોંચ્યા છે. ભવનાથની તળેટીમાં આયોજિત આ મેળામાં બે દિવસમાં ૬ લાખથી વધુ ભાવિકો આ મેળાની મુલાકાત લીધી છે. મેળામાં આવતા ભાવિકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સોરઠ માટે એવુ કહેવાય છે કે સોરઠ એટલે સંત શુરા અને દાનવિરોની ભૂમિ, અહીંના લોકો સેવામાં અને દાનમાં ક્યારેય પાછીપાની કરતા નથી. સૌરાષ્ટ્રની ભૂમિ તેની ખુમારી, ભક્તિ અને દાતારી માટે જાણીતી છે.
આથી ભવનાથમાં આયોજિત મેળાને ભજન ભોજન અને ભક્તિનો ત્રીવેણી સંગમ કહેવામાં આવે છે. અહીં આવનારા તમામ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે આટલી વિશાળ સંખ્યામાં આવતા ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા પાર પાડવી તે પણ કોઈ ચમત્કારથી ઓછુ નથી. ભવનાથમાં ઠેકઠેકાણે અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમા સેવા આપી રહ્યા છે. અહીં આવેલુ ખોડિયાર અન્નક્ષેત્ર ટ્રસ્ટ ૧૯૬૧થી ભાવિ ભક્તો અને સાધુ સંતો માટે શિવરાત્રીના મેળા દરમિયા ૪ દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરે છે.
તેમની પાસે ૪૫૦ જેટલા સ્વયંસેવકોનો સ્ટાફ છે. દર શિવરાત્રીએ રાજકોટથી આ સ્વયંસેવકો આવી જાય છે અને એકપણ પૈસા લીધા વિના સેવા માટે આવે છે. છેલ્લા ૬૩ વર્ષથી આ ટ્રસ્ટ પરીક્રમા અને શિવરાત્રીના મેળા દરમિયાન ભોજનની વ્યવસ્થા પુરી પાડે છે. અહીં ભાવિકોને સાત્વીક અને પોષ્ટિક વાનગી પીરસવામાં આવે છે. અહી જે કોઈ મીઠાઈ બને છે તે શુદ્ધ ઘીમાં અને સીંગતેલમાં ફરસાણ બને છે. લાઈવ મશીનમાં એક કલાકમાં ૫ થી ૬ હજાર ફુલકા રોટલી તૈયાર થઈ જાય છે . સવારે રોજ ચા ગાંઠિયા અને મરચાનો નાસ્તો આપવામાં આવે છે. ટ્રસ્ટના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ એક દિવસમાં ૫૦થી ૭૦ હજાર માણસો પ્રસાદ લે છે. ૨૪ કલાક ચા ની વ્યવસ્થા રાખવામાં આવી છે.
૫ દિવસમાં અઢી થી ત્રણ લાખ લોકો અહીં ભોજન લે છે. દિવસના ૨૪ કલાકમાંથી ૧૬ કલાક ભોજનની કામગીરી ચાલે છે. ગેબી ગીરનારની તપ અને જપની ભૂમિમાં આવતા જ લોકો ધન્યતાની અનુભૂતિ કરે છે અને તેમને ક્યાંય થાક જણાતો નથી. આપને જણાવી દઈએ કે ભવનાથ મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડનું પણ અનેરુ મહત્વ છે. રાજા ભોજે આ કુંડ બનાવ્યો હતો. ગીરનારની પરીક્રમા પૂર્ણ કરી મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગા સન્યાસીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે. વઆ શાહી સ્નાન બાદ અનેક સાધુઓ અદૃશ્ય થઈ જતા હોવાની પણ એક માન્યતા છે.
Recent Comments