કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે વાંધાજનક નિવેદન આપીને ભાયાણીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અંગે ભાજપના નેતાના નિવેદનથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા બાદ ભાજપમાં જાેડાયેલા ભૂપત ભાયાણીએ જૂનાગઢના વિસાવદરમાં રાહુલ ગાંધી માટે નપુંસક શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ભાયાણીના નિવેદનની નિંદા કરી હતી. હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે વાંધાજનક નિવેદન આપીને ભાયાણીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. દુધાતે પૂછ્યું છે કે ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ રાહુલ ગાંધીના ઘરે ગયા હતા, તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં આ ખામી છે.
પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રતાપ દુધાતે આ સમગ્ર મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અમરેલી લોકસભા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાજપ પોતાની ગરિમા ભૂલી ગયો છે. દુધાતનો આરોપ છે કે ભાજપ અમરેલીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે સુરતથી ભાડેથી માણસો લાવે છે. ભાયાણી પર વળતો પ્રહાર કરવાની સાથે દુધાતે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પણ ખુલ્લો પડકાર આપ્યો છે.
દુધાતે કહ્યું કે, સુરતમાં થયેલા વિશ્વાસઘાતનો જવાબ કુંભાણી સ્મશાન જાય ત્યાં સુધી આપવો પડશે. દુધાતે જણાવ્યું હતું કે જનતાની પીઠમાં છરો મારવામાં આવ્યો છે. નિલેશ કુંભાણી અને તેના ટેકેદારોને ગર્ભિત ધમકી આપતાં દૂધાતે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર અને તેના ત્રણ ટેકેદાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજાે. તમારે સી.આર. પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા રહેજાે. ૭ તારીખ પછી મારી લડાઈ શરૂ થશે. સુરતમાં કાં તમે રહેશો કાં પ્રતાપ દૂધાત રહેશે. તમને બતાવીશ કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાથી પરિણામ શું આવે હું ત્યાં આવીને બતાવીશ.
Recent Comments