હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી રોહિણી નક્ષત્રના લીધે ગરમી ઓછી થશે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પણ પડશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/05/download-2024-05-26T195512.462.jpg)
રાજ્યમાં છેલ્લા ઘણા બધા દિવસોથી ભયાનક ગરમી પડી રહી છે. કેટલાય લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા છે, લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી ૨૭થી ૩૦ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રોહિણી નક્ષત્રના લીધે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ૨૭થી ૨૮મી તારીખના રોજ ભારે પવન ફૂંકાશે. હવે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે અને ૮મી જુને અરબ સાગર અને બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશન થશે. આમ ૮થી ૧૪ જુન દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડાંની સંભાવના છે. જ્યારે ૨૮મેથી પહેલી જુન સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જશે તેમ મનાય છે. તે આંદામાન નિકોબાર તો પહોંચી ગયું છે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે, “પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થશે. આ સાથે જ મુશળધાર વરસાદ થવાની શક્યતા પણ રહેશે. આ ઉપરાંત ૧૨૦ કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હજુ ગરમીની અસર રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીની અસર રહેશે. આગામી તારીખ ૨૭ મેના રોજથી ૩૦ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરુચ અને સાપુતારાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે.”
Recent Comments