બજેટના ફાયદા ગણાવવા ભાજપ હવે દેશવ્યાપી અભિયાન ચલાવશે

રાજધાનીમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતા ૬ અને ૭ ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ સંબોધશે
કેન્દ્રની ભાજપ સરકારે ૧ ફેબ્રુઆરીએ દેશના સામાન્ય બજેટ ૨૦૨૧-૨૦૨૨ રજૂ કર્યુ છે. હવે ભાજપ તેના ફાયદા ગણાવવા માટે લોકોની વચ્ચે જશે. આ માટે ભાજપ તરફથી દેશભરમાં વિશેષ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓને દેશના તમામ રાજ્યોની રાજધાનીઓ અને મોટા શહેરોમાં પત્રકાર પરિષદ સંબોધવા અને પ્રજાની વચ્ચે જઈને સભાઓ ગજવવાનો આદેશ આપ્યો છે. બજેટ પર ભાજપનો આ પ્રચાર કાર્યક્રમ ૬-૭ ફેબ્રુઆરી અને ૧૩-૧૪ ફેબ્રુઆરીએ ચલાવવામાં આવશે.
તમામ રાજ્યોની રાજધાનીમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ નેતા ૬ અને ૭ ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ સંબોધશે. દેશવ્યાપી અભિયાનમાં બુદ્ધીજીવીઓ સાથે ચર્ચા કાર્યક્રમ, એફઆઈસીસીઆઈ અને ચેમ્બર્સ ઑફ કૉમર્સ સહિત ઉદ્યોગ જગતના લોકો સાથે ચર્ચા કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપના તમામ સાંસદોને ૬-૭ અને ૧૩-૧૪ ફેબ્રુઆરીએ પોતાના સંસદીય વિસ્તારમાં રહીને બજેટની જનકલ્યાણકારી વાતોને પ્રજા સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના નેતાઓને બજેટની જાેગવાઈઓને સોશિયલ મીડિયા થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ૭ ફેબ્રુઆરીએ સ્મૃતિ ઈરાની ગુવાહાટી, જિતેન્દ્ર સિંહ જમ્મુ અને થાવરચંદ ગહલોત ઈન્દોરમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે.
Recent Comments