રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિતમણીપુરમાં જળબંબાકાર; સરકાર, એનડીઆરએફ અને સેના દ્વારા સતત બચાવ કર્યા ચલાવવામાં આવી રહ્યું છે
રેમલ વાવાઝોડાને કારણે દેશના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં તારાજી સર્જાઇ છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો છે. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે. રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. તેના કારણે ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોમાં માર્ગ અને રેલ સંચાર પર પણ પ્રતિકૂળ અસર થઈ છે. ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૩૮ નાગરિકોના મોત થયા છે. મિઝોરમમાં ૨૯, નાગાલેન્ડમાં ૪, આસામમાં ૩ અને મેઘાલયમાં ૨ નાગરિકોના મોત થયાના અહેવાલ છે.
માહિતી અનુસાર અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે ઈમ્ફાલ નદીમાં પાણી વધતા ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે નમબુલ નદીમાં પાણી વધવાને કારણે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ખુમાન લેમ્પક, નાગારમ, સગોલબંદ, ઉરીપોક, કેસમથોંગ અને પાઓના વિસ્તારો સહિત ઓછામાં ઓછા ૮૬ વિસ્તારોમાં પૂરની માહિતી મળી છે. સતત વરસાદને કારણે, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેરાંગ, ખાબમ અને લારિયાંગબમ લેઇકાઇ વિસ્તારો પાસે ઇમ્ફાલ નદીના કાંઠા તૂટી ગયા છે અને ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, સેંકડો ઘરો ડૂબી ગયા છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના એસપી કાર્યાલયે જણાવ્યું કે, “છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. પોલીસ વિભાગ અને અન્ય એજન્સીઓ ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરી રહી છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે મોટી સંખ્યામાં બહાર આવીને અને ભીડ બનાવીને બચાવ કામગીરીમાં અવરોધ ન આવે.”
આ અંગે મળતી માહિતી અનુસાર, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના હેનગાંગ અને ખુરાઈ વિધાનસભા ક્ષેત્રના ઘણા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે, ઘણા વિસ્તારોમાં પૂરના પાણી છાતી સુધી પહોંચી ગયા છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) ની એક ટીમ બચાવ કામગીરીનું નેતૃત્વ કરવા માટે લગભગ ૧૦ વાગ્યે એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ઇમ્ફાલ પહોંચી.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં નદીકાંઠાના ડેમમાં ભંગાણ પડતા નાગરિકો અને પ્રાણીઓને અસર થઈ છે. રાજ્ય સરકારના અધિકારીઓ, સુરક્ષા અને એનડીઆરએફના જવાનો અને સ્થાનિક સ્વયંસેવકો સહિત તમામ સંબંધિત સત્તાવાળાઓ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું કે ઇમ્ફાલ અને સિલચરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૭ પરનો ઇરાંગ બેઇલી બ્રિજ તૂટી પડ્યો હતો, જેના કારણે રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, સોનિતપુરના ઢેકિયાજુલીમાં એક સ્કૂલ બસ પર ઝાડની ડાળી પડી, જેમાં ૧૨ વિદ્યાર્થીઓ ઘાયલ થયા. મોરીગાંવમાં અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી.
Recent Comments