PMJAY-MA કાર્ડ રાજ્યનાં અનેક નિરાધાર અને જરૂરીયાતમંદ લોકોનું આધાર બન્યું છે- સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/09/1713-01-1140x620.jpeg)
નેશનલ હેલ્થ મિશન હેઠળ ભરતી કરાયેલાં નવા ૭૬ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (સી.એચ.ઓ.)ને નિમણૂંક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ અને ૩૧ ફિમેલ હેલ્થ વર્કર અને ૯ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ.)ને સરકારશ્રીના નિયમાનુસાર ફીકસ પગારના ૫(પાંચ) વર્ષ પૂર્ણ થતા પૂર્ણ પગારના હુકમો એનાયત કરવાનો કાર્યક્રમ ભાવનગરના સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.
માં યોજનાના ૧૧ માં વર્ષમાં પ્રવેશની ઉજવણી તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, PMJAY-MA કાર્ડ રાજ્યનાં અનેક નિરાધાર અને જરૂરીયાતમંદ લોકોનું આધાર બન્યું છે. અનેક લોકોને દેવાના ખપ્પરમાં હોમાતાં તેનાથી બચાવી શકાયાં છે. રાજ્યની સુદ્ઢ આરોગ્ય વ્યવસ્થાને કારણે એ શક્ય બન્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ આવાં પરિવારોમાં કેન્સર, હ્યદય રોગ જેવી ગંભીર બીમારીઓના નિદાન સારવાર પાછળ હજારો-લાખોનો ખર્ચ કરવો પડતો હતો. જેમાં પરિવારની અંગત બચત પણ ખર્ચાઈ જતી હતી.
રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધાઓ મળે એ જ સરકારનું લક્ષ્ય છે. સરકાર એ જ દિશામાં કાર્ય કરી રહી છે. હવે વૃધ્ધજનોને હોસ્પિટલ આવવું નહીં પડે કેમ કે હોસ્પિટલ જ સારવાર માટે તેમના ઘરે જશે. જે વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવેલ છે. જે આગામી દિવસોમાં અમલી બનશે.
સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ માટેના વિવિધ એમ.ઓ.યુ. કરાયાં હતાં. તેમજ એસ.બી.સી.સી. અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ કક્ષાએથી PMJAY-MA કાર્ડના માર્ગદર્શન સહિત કાર્ડ કાઢી આપવાં માટે કામગીરી સઘન કરવાં માટે તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહજી ગોહિલ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર, જીલ્લા આર.સી.એચ અધિકારી ડો. કોકીલાબેન સોલંકી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઇ ડાભી સહિતના અધિકારીશ્રીઓ– પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments