સુદામડા ગામે ખેતીવાડીનાં ફીડરો સતત ૨૩ દિવસથી બંધ, ખેડૂતોની ઉગ્ર રજૂઆત
સાયલા પંથકમાં વીસ દિવસ પહેલા આવેલા વિનાશકારી વાવાઝોડાનાં કારણે કેટલાય વીજ ફીડરોમાં મોટાપાયે નુકસાન થવા સાથે વીજ પુરવઠો બંધ થઇ ગયો છે. જેના કારણે ખેડૂતોને સૌથી વધુ સહન કરવાનો વારો આવ્યો છે. સુદામડા ગામે છેલ્લા ત્રેવીસ દિવસથી લીંબાળા સહીતનાં ફીડરો સતત બંધ રહેવાને કારણે ખેડુતોનાં ઉભા પાક,નવા વાવેતરમાં તેમજ ખાસ કરીને પશુધનને સાચવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેના કારણે આજરોજ લીંબાળા ફીડર હેઠળનાં ખેતીવાડી વીજ જાેડાણો ધરાવતા ખેડૂતો સાયલા વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને ફરજ પર હાજર નાયબ ઇજનેરને લેખીત રજૂઆત કરવા સાથે વીજ પુરવઠો પુર્વવ્રત કરવા માંગણી કરી હતી. સાયલાનાં સુદામડામાં વીજ વિભાગનાં લીંબાળા ફીડર હેઠળ આશરે સાડા ત્રણસો વાડીઓ આવેલી છે. જેમાં વાવાઝોડાને ત્રેવીસ દિવસો વિતવા છતા હાલ સુધી વીજ પુરવઠો બંધ રહેતા ત્યાના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખેડૂતો દ્વારા બંધ લીંબાળા વીજ ફીડર બાબતે વીસ દિવસોથી અવાર નવાર અધિકારી કર્મચારીઓને મૌખીક રજૂઆત કરાતી હોવા છતાં કોઇ જ કાર્યવાહી નહીં કરાતા રોષે ભરાયેલા ખેડૂતો આજે સાયલા વીજ કચેરી એ ધસી ગયા હતા. અને લેખીત માં રજૂઆત કરવા સાથે તાત્કાલીક અસરથી લીંબાળા વીજ ફીડર ચાલુ કરાવવાની માંગ કરી હતી. આ બાબતે સુદામડા ખેડૂત હિત રક્ષક સમિતનાં આગેવાન ખેંગારભાઇ ખાંભલા એ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રેવીસ દિવસથી અમારું લીંબાળા ખેતીવાડી વીજ ફીડર બંધ રહેતા સાડા ત્રણસોથી વધુ વાડીઓનાં ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળતા પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ઉપરાંત પશુધનને પીવડાવવાનાં પાણીનાં અવાડા ખાલી રહેતા છેક ભોગાવો નદીમાં માલઢોરને લઇ જવા પડી રહ્યા છે.
Recent Comments