પાટણમાં ૩.૬૦ લાખનો તેલનો જથ્થો સીઝ કરાયો
પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્યતેલમાં ભેળસેળ કરાતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. ત્યારે જિલ્લા કલેક્ટરને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ શહેરના છીંડીયા દરવાજા બહાર આવેલી બહુચર ટ્રેડીંગ નામની દુકાનના માલિક દ્વારા પોતાની દુકાનની અંદર તેમજ દુકાન ની પાછળ આવેલ પોતાના ઘરમાં ખાદ્યતેલમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. જેના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારીને ઉપરોક્ત બાબતે અવગત કરી સ્થળ પર તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સુચિત કરાયું હતું.
જેના પગલે પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમે સ્થળ પર પહોંચી મોદી કૃણાલ ક્રિષ્નાલાલ નામના વેપારીની બહુચર ટ્રેડિંગ નામની દુકાનમાં તેમજ દુકાનની પાછળ તેમના મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. દુકાન અને મકાનમાં રાખવામાં આવેલ છુટક કપાસીયા તેલ, ગુલાબ રિફાઈન્ડમાંથી કપાસીયા તેલ, અખરોટનું છુટક તેલ, ગુલાબ ગ્રાઉન્ડ અખરોટનું તેલ, ફોર્ચ્યુન સોયાબિન તેલ, ગોકુલ ડબલ ફિલ્ટર કરેલ તેલ, કામદા શુદ્ધમાંથી સોયાબીન તેલના ડબ્બામાંથી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ઉપરાંત ઉપરોક્ત ખાદ્યતેલ કુલ ૧૭૨૪ કિ.ગ્રા., કિંમત રૂ. ૩ લાખ ૬૦ હજાર ૮૨૫ના જથ્થાને સિઝ કરી તેલના સેમ્પલને તપાસ માટે સરકારી લેબમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
પાટણ શહેરના છીંડીયા દરવાજા વિસ્તારમાં આવેલી મોદી કૃણાલ ક્રિષ્નાલાલની બહુચર ટ્રેડિંગ નામની દુકાન અને ઘર પર પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારી વિપુલભાઈ ચૌધરી સહિતની ટીમ એમ એમ પટેલ,એચ બી ગુજ્જર અને યુ એચ રાવલ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઈને વેપારી અને તેના પરિવાર સહિતના સગા સંબંધીઓમાં સનસનાટી મચી જવા પામી હતી અને તપાસને રોકવા અનેક પ્રયુક્તિ અજમાવી હતી. પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા તત્વોને રોકવા પાટણના ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી સહિત ની ટીમ દ્વારા તટસ્થ રહીને પોતાની ફરજ બજાવી હતી શહેરના છીંડીયા દરવાજા બહાર આવેલ બહુચર ટ્રેડિંગ નામની દુકાન અને વેપારીનાં મકાનમાં પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા ખાદ્યતેલમાં ભેળસેળ મામલે ઓચિંતી હાથ ધરવામાં આવેલ કાયૅવાહીને લઈને લોકોનાં ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં.
Recent Comments