નડિયાદમાં ટ્રકને લુંટનાર ૩ આરોપીઓને એલસીબી પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/download.png)
મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય રીન્કુભાઈ જગરુપભાઈ શર્મા પોતે મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેઓ અહીંયા મનીભદ્ર સ્ટીલની ફેક્ટરીમાં રહી અને મજૂરી કામ કરે છે. આ ફેક્ટરીમાં કે જે સ્ટિલનો સ્ક્રેપ નકામો હોય તેને ફરીથી સ્ટીલની પ્લેટો બનાવવા માટે આ ભંગારને હાલોલ મુકામે મોકલવામાં આવે છે. આ ફેક્ટરીમાંથી અંદાજે ૨૫ ટન જેટલું એસએસ સ્ટીલનો સ્ક્રેપ હાલોલ મુકામે લઈ જવાનો હતો.જેથી ફેક્ટરીના માલિક ભરતભાઈ ચોપડાએ ટ્રક અશોક લેલન (જીજે ૨૭ ટીટી ૬૨૫૦) ગત ૨૯મી માર્ચના રોજ મંગાવી હતી. બાદમાં આ ભંગારનો જથ્થો ઉપરોક્ત ટ્રકમાં લોડ કરી ફેક્ટરીમાં મજુરી કામ કરતા રીન્કુભાઈ તથા ટ્રક ચાલક અમરસિંહ ૩૦મી માર્ચના રોજ હાલોલ મુકામે જવા રવાના થયા હતા. અમદાવાદના ઓઢવ રીંગરોડ પાસેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ ટ્રક પહોંચતા ટ્રક ચાલક અમરસિંહે ટ્રકને રોકી હતી અને એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ચાર વ્યક્તિઓને પોતાની ટ્રકનાં કેબિનમાં ઓ બેસાડ્યા હતા.
રીન્કુભાઈએ પૂછતાં ચાલકે જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ લોકો મારા પરિચિત છે તથા તેમને સાવલી ઉતરવાનું હોવાથી તેઓ આ ટ્રકમાં બેઠા છે. આમ ટ્રકની કેબિનમાં કુલ છ વ્યક્તિઓ બેઠા હતા. ટ્રક ચાલક અને ૪ વ્યક્તિઓ અંદરોઅંદર રાજસ્થાની ભાષામાં વાત કરતા હતા. ટ્રક ઓવરલોડ હોવાથી ટાયર ગરમ થઇ ગયું છે જેથી તેને ઉભી રાખી છે. અંદાજે દોઢેક વાગ્યાના અરસામાં આ એક્સપ્રેસ વેનો નડિયાદ પાસેનો ટોલ બૂથ વટાવી ડાકોર તરફ ટ્રક જઈ રહી હતી. ત્યારે એકાએક ટ્રકમાં બેઠેલા ચાર વ્યક્તિઓ રીન્કુભાઈ શર્માને એકાએક મારવા લાગ્યા હતા. ત્યારબાદ ટ્રક ચાલક અમરસિંહે પણ ટ્રકને થોભાવી રીન્કુભાઇને માર મારી ટ્રકની કેબિનમાંથી નીચે ઉતારી દીધા હતા. બાદમાં ટ્રક ચાલક તથા તેના મળતિયાઓએ રીન્કુભાઈને નજીક આવેલા ખેતરમાં લઇ જઇ દોરીથી હાથ-પગ બાંધી અવાજ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પછી ટ્રકચાલક સહિત ટ્રકમાં બેઠેલા ૪ લોકો ટ્રક લઈને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ગભરાયેલા રીન્કુભાઈએ અહીંયાંથી જીવના જાેખમે નીકળી નજીક આવેલ ટોલ બૂથ ઉપર મદદ માટે ગયા હતા. જ્યાં તેણણે ફેક્ટરીના માલિકને જાણ કરતાં માલિકે સ્થાનિક પોલીસની મદદ લેવા કહ્યું હતું. ૨૫ ટન જેટલું એસએસ સ્ક્રેપ કિંમત રૂપિયા ૬૭ લાખ તથા ટ્રક મળી કુલ ૭૨ લાખની મતાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે રીન્કુભાઈ શર્માએ નડિયાદ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે લૂંટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની ફૂટેજ મેળવી લૂંટારુ ટોળકી સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા હતા. દરમ્યાન ઉપરોક્ત ટ્રક અમદાવાદના અસલાલી નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ખેડા એલસીબી પોલીસ સતત અહીંયા આગળ મોનિટરિંગ કરતા એક સપ્તાહની અંદર જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
Recent Comments