વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપ્યું
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/8-10-1140x620.jpg)
બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપ્યું છે. તેમણે ગાંધીનગર આવીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ નેતા ગણાતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય હતા. તેમને તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. તેમણે ભાજપના રેખાબેન ચૌધરીને પરાજય આપ્યો હતો.
સાંસદ બનેલા ગેનીબેન ઠાકોરને નિયમો મુજબ કોઇ એક હોદ્દો છોડવો પડે તેમ હતો તેથી તેમણે વાવના ધારાસભ્યપદેથી આજે રાજીનામુ આપ્યું હતું. તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળ્યા હતા અને તેમને રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામુ આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, બંધારણીય નિયમો મુજબ એક પદથી રાજીનામું આપવાનું હોય છે જેથી મે આજે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું છે.
વાવ વિધાનસભા મતવિસ્તારની જનતાનો આભાર કે મને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મને આશિર્વાદ આપ્યા હતા. હવે બનાસકાંઠા જીલ્લાની જનતાના આશિર્વાદથી મને દિલ્હીમાં અવાજ ઉઠાવાનો મોકો મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે લોકશાહીના ભાગરુપે ચૂંટણી હોય ત્યારે પાર્ટીની વિચારધારા મુજબ વાત મુકાય છે પણ ચૂંટણી પત્યા પછી સર્વપક્ષીય રીતે દેશહીત અને રાજ્યના હીતમાં કામ કરવાનું હોય છે અને અમે સાથે મળીને સમસ્યા ઉકેલવાના પ્રયત્નો કરીશું.
Recent Comments