કાશ્મીરમાં પાંચ જવાન શહીદ: બે આતંકી ઠાર
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/10/Kasmir-main-antaki.jpg)
છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ કાશ્મીરમાં સૈન્યએ ચાર મોટા એન્કાઉન્ટર કર્યા છે. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે જ્યારે બીજી તરફ સૈન્યના એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા છે. ઘણા દિવસો બાદ પહેલી વખત આતંકીઓ સાથેના ઘર્ષણમાં આટલી મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા છે.જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું.
સામસામે થયેલા ગોળીબારમાં એક અધિકારી સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. પૂંચ જિલ્લામાં આતંકીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આ દુઃખદ ઘટના ઘટી હતી. આતંકીઓ હાજર હોવાની બાતમીના આધારે વહેલી સવારે શરૂ થયેલુ આ ઓપરેશન આખો દિવસ ચાલ્યું હતું. આતંકીઓએ અચાનક સૈન્ય પર ભારે ગોળીબાર કરી દીધો હતો. જે દરમિયાન આ જાનહાની થઇ હતી. કાશ્મીરમાં હાલમાં ટાર્ગેટ કિલિંગ વધ્યું છે જેમાં હિંદુઓ અને શીખોને નિશાન બનાવીને આતંકીઓ હુમલા કરી રહ્યા છે. ત્યારે સૈન્ય દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે જ સૈન્ય ટુકડી પૂંચના સુરણકોટે પાસેના ગામમાં તપાસ માટે પહોંચી હતી.
આતંકીઓ સૈન્ય પર ગોળીબાર કરીને નજીકના રાજાેરી જિલ્લાના ભાંગાઇ ગામમાં ભાગી ગયા હતા. મોટી રાત સુધી આ આતંકીઓની શોધખોળ ચાલી હતી. આતંકીઓના ભાગવાના જેટલા પણ રસ્તાઓ છે તેને સૈન્ય દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા હતા. બહુ જ મોટી સંખ્યામાં સૈન્ય જવાનોને આ વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યા છે. અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજાેરી અને પૂંચમાં આ વર્ષે આતંકીઓના છુપાવા અને હુમલાનું પ્રમાણ વધ્યું છે. પાંચ જવાનોની શહાદત બાદ કાશ્મીરમાં શીવસેના અને ડોગ્રા ફ્રન્ટ સંગઠન દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનુ પુતળુ સળગાવવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર કોંગ્રેસે તાત્કાલીક આતંકીઓની સામે કાર્યવાહીની માગણી કરી હતી. અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી આઘાત પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ અનંતનાગ અને બંદીપોરા જિલ્લામાં અન્ય એક એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જે દરમિયાન એક પોલીસ જવાન ઘવાયો હતો. અહીં પણ સર્ચ ઓપરેશન દરમિયાન જ જવાનો અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જાેકે આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. શોપિયાંમાં પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. શોપિયાંમાં પણ અનંતનાગ અને પૂંચ જેમ આતંકીઓ અને સૈન્ય વચ્ચે સામસામે ભારે ઘર્ષણ થયું હતું. શોપિયાંમાં સોમવારે બે એન્કાઉન્ટર થયા હતા, જે દરમિયાન ચાર આતંકીઓને સૈન્યએ ઘેરી લીધા હતા.
Recent Comments