ધોરાજીના કોંગી ધારાસભ્યના કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આમંત્રણ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/IMG-20220808-WA0006-863x620.jpg)
ગુજરાતમાં ધારાસભાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચા અને અટકળો વચ્ચે આગામી તા. ૧૪ને રવિવારના રોજ ધોરાજી ખાતે લલિત વસોયા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ તેમજ માર્ગ નામકરણ સહિતના કાર્યક્રમોમાં કોંગ્રેસના નેતાઓના બદલે ભાજપના નેતાઓને મુખ્ય મહેમાન તરીકે હાજર રાખવા આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવતા ભારે ચકચાર જાગી છે. અને લલિત વસોયા ચોક્કસ ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચાએ વધુ એક વખત જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ ધોરાજી ખાતે આગામી તા. ૧૪ના રોજ સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સ્વ. રણછોડભાઈ કોયાણી માર્ગ નામાંકન તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભાજપના સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિ રહેનાર છે. જ્યારે માર્ગ નામકરણ અને તકતી અનાવરણ ભાજપના માજીમંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે બહાર પાડવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં એક તરફ લલિત વસોયાનો તેમજ બીજી તરફ સ્વ. રણછોડભાઈ કોયાણીની તસવીર મૂકવામાં આવી છે.
ધોરાજીના રાજકીય તેમજ સામાજિક અગ્રણી સ્વ. રણછોડભાઈ કોયાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેના આમંત્રણ કાર્ડમાં ભાજપના માજીમંત્રી તેમજ સાંસદના તસવીરો સાથે નામ છાપવામાં આવ્યા છે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે કોંગ્રેસના કોઈપણ નેતાનું નામ રાખવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચાઓ થઈ રહી છે. અને તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ગુજરાત કોંગ્રેસના જે ૭ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું હતું તેમાં પણ લલિત વસોયાનું નામ ઉછળ્યું હતું.
આવી અટકળો અને ચર્ચાઓ વચ્ચે આગામી રવિવારે ધોરાજી ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં લલિત વસોયાએ કોંગ્રેસના નેતાઓની બાદબાકી કરી ભાજપના નેતાઓના હાજર રાખવા આમંત્રણ પત્રિકા બહાર પાડતા લલિત વસોયા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતને વધુ બળ મળ્યું છે. આગામી દિવસોમાં આ કાર્યક્રમના કોંગ્રેસમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
Recent Comments