રાજકોટમાં નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર કારે બાઇકને ઠોકરે લેતા મહિલાનું મોત
શહેરમાં વધુ એક અકસ્માતના બનાવમાં કારે ડબલ સવારી બાઇકને ઠોકરે લેતા ધોરાજીનું દંપતી ખંડિત થયું છે. જ્યારે અકસ્માતમાં મૃતકના પતિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતા ગિરીશભાઇ હિરજીભાઇ અઘેરા નામના આધેડે રાજકોટના મવડી રોડ પર ઇસ્કોન હાઇટ્સમાં મકાન ખરીદ કર્યું હતું. નવા ખરીદેલા મકાનના પૈસા ચૂકવવાના હોય ગિરીશભાઇ તેમના પત્ની મંજુ સાથે એક બાઇક પર, જ્યારે પુત્ર પ્રશાંત તેના બાઇક પર રાજકોટ આવવા નીકળ્યા હતા. દરમિયાન દંપતી અને તેમનો પુત્ર રાજકોટના નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર પહોંચ્યા હતા. પુત્ર પ્રશાંત તેના બાઇક સાથે આગળ જઇ રહ્યો હતો. ત્યારે કોરાટ ચોક પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે ધસી આવેલી કારે ગિરીશભાઇના બાઇકને ઠોકર મારી હતી. જેને કારણે ગિરીશભાઇ અને તેના પત્ની મંજુબેન બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયા હતા.
માતા-પિતાના બાઇકને કારે ઠોકરે લીધાની આગળ જઇ રહેલા પુત્ર પ્રશાંતને થતા તે તુરંત પરત આવ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા માતા-પિતાને તુરંત ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં મંજુબેનને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જ્યારે ગિરીશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અકસ્માતમાં માતાને ગુમાવતા એકનો એક પુત્ર પ્રશાંત ભાંગી પડ્યો હતો. શાપરમાં નોકરી કરતા પ્રશાંતે પૂછપરછમાં જણાવ્યું કે, પિતા ઝાંઝમેર ગામે રહીને ખેતીકામ કરે છે. અકસ્માત સર્જનાર કારચાલક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Recent Comments