fbpx
અમરેલી

ખાંભા તાલુકાના ૨૮ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલી જિલ્લાના ખાંભા ખાતે ખાંભા તાલુકાના ૨૮ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્‍તે કરાયો હતો.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના એ ખરા અર્થમાં ખેડૂતો માટે વિજક્રાન્તિ લાવનાર ઐતિહાસિક યોજના છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ૨૮ ગામોને આ યોજનાનો આજથી લાભ મળશે. આ યોજનાના અમલથી ખેડૂતોને દિવસે વીજળી મળવાથી અનેક ફાયદાઓ થશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપતી જ્યોતિર્ગ્રામ યોજના હોય કે પછી ગામડાઓના રોડ-રસ્તા, આરોગ્ય કે શિક્ષણની વ્યવસ્થા. રાજ્ય સરકારે હરહંમેશ ખેડૂતો અને ગામડાઓના હિતમાં નિર્ણયો લીધા છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં વધુમાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સાહસિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજ સુધી ખેડૂતોએ આખી રાત ઉજાગરા કરીને પાણી વાળવા જવું પડતું પરંતુ આ યોજનાના અમલથી દિવસે વીજળી મળશે અને દિવસ દરમિયાન ખેતીનું કામ કરી શકાશે. આ ઉપરાંત ખાંભા જેવા ગીર પંથકના ગામોમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો પણ ખતરો છે તો એવા ખતરાથી પણ ખેડૂત સલામત રહી શકશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાએ ઉપસ્થિત ખેડૂતમિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે આપ સૌનો અવાજ અમે સરકાર સુધી લઈને ગયા અને અમને તાત્કાલિક હકારાત્મક પરિણામો મળ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આપણી રજૂઆતો સાંભળી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ મેળવવા પ્રયત્નો કરે છે. ધારાસભ્યશ્રીએ કિસાન સૂર્યોદય યોજનાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોને શુભેછાઓ પાઠવી હતી. આ ઉપરાંત આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બગસરા-વડિયા વિસ્તારને નવો પ્રાંત વિસ્તાર જાહેર કરાતા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ક્રાયક્રમમાં વિપુલભાઈ શેલડીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તંતી, કાળુભાઇ ફિંડોળીયા, અંબરીશભાઈ જોશી, અધિક્ષક ઈજનેર શ્રી કાલરીયા, કાર્યપાલક ઈજનેર શ્રી નિનામા તથા પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામા કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસરીને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts