fbpx
અમરેલી

કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૧૧,૫૦૦ ડોઝ અમરેલી ખાતે આવી પહોંચ્યા

કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૧૧,૫૦૦ ડોઝ અમરેલી ખાતે આવી પહોંચ્યા

જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્યકર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેકસીન અપાશે

તમામ સાધનોના તાપમાન અને તમામ વેક્સિનના સ્ટોકનું ૨૪૭ ઓનલાઇન મોનીટરીંગ*

અમરેલી, તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૧

કોરોનાની મહામારીમાં મહામૂલા જીવન આપણે ગુમાવ્યા છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે આજરોજ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લા માટે કૂલ ૧૧,૫૦૦ જેટલો વેક્સીન ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીશ્રીની ઉદાત્ત ભાવના અને દિવસ-રાત એક કરી વેક્સીનની શોધમાં સફળતા પ્રાપ્ત કરતા વૈજ્ઞાનિકોએ દેશને આ મહામારીના સંક્ટમાંથી ઉગારવા જે વેક્સીનનું નિર્માણ કર્યું છે, તે આજે અમરેલીના આંગણે આવી પહોંચી છે. દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે, તે આનંદની ક્ષણો છે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે અમરેલી ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે અમરેલીના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૂ આયોજન કરાયું છે.
અમરેલી ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો આજે અમરેલી જિલ્લાને પ્રાપ્ય થયો છે તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યુ હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨° થી લઈને ૮° સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્યકર્મીઓને વેકસીન આપવામાં આવશે. અમરેલી જિલ્લામાં કુલ ૬ સ્થળોએ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એચ. એફ. પટેલ તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts