અમરેલી જિલ્લામાં નવી ૯ મોબાઈલ પશુવાનનું લોકાર્પણ કરાવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
અમરેલી જિલ્લા પંચાયતના પટાંગણ ખાતે આજે પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુદવાખાના યોજના અંતર્ગત નવી ૯ મોબાઇલ પશુ દવાખાનાની વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલ દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના નાગરિકોના આરોગ્યની સાથે સાથે અબોલ પશુઓના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. પશુપાલકોના અબોલ પશુઓને વિનામૂલ્યે આરોગ્ય સુવિધા માટે પશુમેળા જેવા અનેકવિધ કાર્યક્રમો કર્યા છે. પશુઓની વિનામૂલ્યે સારવાર થાય, કુત્રિમ બીજદાન મેળવી સારી ઓલાદના પશુઓ મળી રહે તેમજ પશુપાલન ક્ષેત્રે રાજ્ય વિકસીત બને તેવા ઉમદા હેતુ માટે રાજ્ય સરકાર પશુપાલક મિત્રોને હંમેશા મદદરૂપ બની રહી છે. રાજ્ય સરકારે પશુપાલન, પશુ સંવર્ધન અને પશુ ચિકિત્સા જેવા વિષયો ઉપર વધુ ધ્યાન આપ્યું છે. રાજ્યના ગ્રામિણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજયમાં હાલમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૧૦૮ ના સફળ અનુભવને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં ૨૧ મોબાઇલ પશુવાન ફાળવવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે દસ ગામ દીઠ એક મોબાઇલ પશુવાનની સુવિધા માટે ૧૯૬૨ ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં ઘેર બેઠા પશુ સારવાર મળી રહેશે. માનવ સારવાર માટે જેમ ૧૦૮ સુવિધા છે તે પ્રકારની આ સુવિધા પશુધનની સારવાર માટે ઉપલબ્ધ બની છે. પ્રારંભિક તબક્કામાં અમરેલી જિલ્લામાં પશુદવાખાનાઓ પીપીપી – PPP ના ધોરણે GVK-EMRI મારફતે શરૂ કરવાનું આયોજન છે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી રાત્રે ૭ દરમ્યાન પશુપાલકોને ગામમાં ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે તથા કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે.
આ મોબાઇલ પશુવાન દ્વારા નિયત કરેલ ગામોમાં નિ:શુલ્ક તેમજ આકસ્મિક સારવાર માટે ૧૯૬૨ પર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘર બેઠાં વિના મૂલ્યે પશુ સારવાર આપવામાં આવશે. આ તમામ વાહનો પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે ઉપલબ્ધ રહેશે. અમરેલી જિલ્લામાં હાલ ૧૨ મોબાઇલ પશુવાન કાર્યરત છે. અને આજરોજ નવી ૯ મોબાઈલ પશુવાન શરૂ કરવામાં આવતા જિલ્લામાં કૂલ ૨૧ મોબાઈલ પશુવાન કાર્યરત થયેલ છે. સામાન્ય લોકો માટે જેમ ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવે છે તેવી જ રીતે પશુઓમાં ૧૯૬૨ ની સુવિધા શરુ કરવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કૃત્રિમ બીજદાનની ટ્રેનિંગ લેનારા જિલ્લાના ૧૦ જેટલા તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલી જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડૉ. ટી સી ભાડજાએ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, સચિવ શ્રી નલીન ઉપાધ્યાય, પશુપાલન નિયામકશ્રી ડો.ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ પશુપાલન વિભાગના અધિકારી – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments