કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢ દ્વારા આયોજન કરાયું 
રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત દેશભરમાં કૂપોષણની સમસ્યાને દૂર કરવાં સરકાર દ્વારા સુચારું આયોજન દ્વારા તબક્કાવાર વિવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
પરંતુ કૂપોષણ સામેની આ લડાઇને જીતવા માટે જનજાગૃતિ અતિ આવશ્યક છે તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢના અધિકારીશ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ પોષણ અભિયાન અંતર્ગત યોજાયેલ વિશેષ કાર્યક્રમને સંબોધતાં કહ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, સ્વસ્થ અને સશક્ત નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થઇ સમૃધ્ધ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરતાં હોય છે માટે દેશના પ્રત્યેક નાગરિકે પોષણ સંબંધે જાગૃત રહેવું જરૂરી છે.
દેશભરમાં ચાલી રહેલ પોષણ અભિયાન અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય, કેન્દ્રીય સંચાર બ્યુરો-જૂનાગઢ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી પોષણ સંદર્ભે લોકોને જાગૃત કરવામાં આવે છે.
જેના ભાગરૂપે ‘સહી પોષણ દેશ રોશન’ વિષયને લઇને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તળાજા ખાતે નીલકંઠ વિદ્યાલયના કેમ્પસમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સંચાર બ્યુરો, જૂનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ કુપોષણને દૂર કરવાં સરકાર દ્વારા કરાતા પ્રયાસોમાં સહયોગ આપવાં અને આ માટેની સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડવાં આવાં જનજાગૃતિના કાર્યક્રમોને મહત્વના ગણાવ્યાં હતાં અને આવા કાર્યક્રમો થકી મળતી જાણકારી અન્ય લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
તળાજાના મામલતદાર જ્હાન્વીબા જાડેજા, ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદકુમાર ડોડીયા, માનવસેવા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના પ્રમુખ ડૉ. દલપતભાઈ કાતરીયા, જી. એચ. સી. એલ. ના જનરલ મેનેજરશ્રિસ ધનંજય કુમાર, તળાજા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નિલેશભાઈ પટેલ, તળાજા આરોગ્ય વિભાગના ડૉ. ભારત મંડોરા, સી.ડી.પી.ઓ.શ્રી ઉષ્માબેન મહેતા, સી.ડી.પી.ઓ.શ્રી મમતાબેન પંડ્યા, સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ ભાવનગરના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઈ પનારા, નિલકંઠ વિદ્યાપીઠના સંચાલકશ્રી રૈવતસિંહ સરવૈયા, આચાર્યશ્રી જયેન્દ્રસિંહ સરવૈયા, સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રોજેક્ટ ઓફિસરશ્રી હેમાબેન પાઠક તેમજ તળાજાના સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
મામલદારશ્રી જ્હાન્વીબા જાડેજાએ એ તન અને મન બંને તંદુરસ્ત રહે તે જ સાચો પોષ્ટીક આહાર એવું જણાવી પોષણ અંગે લોકોને વિશેષ કરીને બાળકોને વધુ સજાગ રહેવા અપીલ કરી હતી.
કિશોર અને કિશોરીઓને ખાસ ટકોર કરતાં જણાવ્યું તેમણે જણાવ્યું કે, માત્ર સ્વાદ માટે કે પેટ ભરવાં માટે ખોરાક ન ખાવો જોઇએ પરંતુ સારા પોષણ માટે સારો ખોરાક ખાવાની આદત પાડવી જરૂરી છે.
સી.ડી.પી.ઓ. શ્રીમતી ઉષ્માબેન અને પોષણ માહની ઉજવણી સંદર્ભે જાણકારી આપવાની સાથે સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર અનિવાર્ય જણાવી ખાસ કરીને કિશોરીઓ અને માતાઓને તેમના આહાર સંદર્ભે વધુ જાગૃત રહેવા જણાવ્યું હતું. કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ તેમજ ૦ થી ૬ વર્ષ સુધીના બાળકો માટે પોષણ સંબંધિત જાણકારી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધા, પોષ્ટીક વાનગી નિદર્શન અને સ્પર્ધા તેમજ પોષણ અંગે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેના વિજેતાઓને કેન્દ્રિય સંચાર બ્યુરો, જૂનાગઢ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયાં હતા.
કાર્યક્રમમાં પોષણ અંગે એક પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવ અંગે પ્રદર્શન સાથે ઉપસ્થિત લોકોને જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના સુપરવાઇઝર તેમજ આંગણવાડી વર્કર બહેનો, ગ્રામ્ય મહિલાઓ, કિશોરીઓ તેમજ શાળાના કિશોર-કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લેતા કાર્યક્રમનો હેતુ સાર્થક થયો હતો.
કાર્યક્રમનું સંચાલન નિલકંઠ વિદ્યાપીઠના આચાર્યશ્રી જયેન્દ્રસિંહ સરવૈયાએ અને આભાર દર્શન સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી નરેન્દ્ર પનારાએ કર્યું હતું.
Recent Comments