કોરોના વકરવા પાછળ લોકો જ જવાબદારઃ મોના દેસાઇ
કોરોના સામેની જંગમાં વેકસીન લેવી હિતાવહ છે. પરંતુ તેની સાથે સાથે નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. તબીબી નિષ્ણાતો માની રહ્યા છે કે વેક્સીન લેનાર લોકોએ વેકસીન લીધા બાદ પણ કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવું પડશે. જાે તેઓ નિયમોનું પાલન નહિ કરે તો તેઓ કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે. એટલે કે, વેકસીન લેનારે વેકસીન લીધા બાદ શુ ધ્યાન રાખવું તે જાણવું પણ જરૂરી છે.
હાલ સરકાર દ્વારા વેકસીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈ જણાવે છે કે, હાલમાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેનું મુખ્ય કારણ છે કે, ગત ડિસેમ્બર – જાન્યુઆરી સુધી સખત નિયંત્રણ હતું. પણ પછી લોકો બેદરકાર થઈ ગયા. યુવાઓમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે જેથી તેઓ એવું માનતા હોય છે કે, મને કશું નહીં થાય પણ તેઓ એ નથી વિચારતા કે તેઓ પોતાના વડીલોને કે પરિવાર જનોને ચેપ ફેલાવી શકે છે. એવી જ રીતે વેકસીન લેનારા લોકોનું છે.
ડો. મોના દેસાઈએ વેક્સિન લીધી હોય તેવા લોકોને અપીલ કરતા કહ્યું કે, વેકસીન લીધા બાદ લોકો બિન્દાસ્ત થઈ જાય છે. માસ્ક વગર લોકો વચ્ચે ફરતા હોય છે. પરંતુ વેકસીન લેનારા લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. લોકોએ એ સમજવું પડશે કે એવું નથી કે વેકસીન લીધી છે એટલે તમને ચેપ નહિ લાગે. વેકસીન બોડીમાં ૬૦થી ૭૦ ટકા અસર કરે છે. એટલે વેકસીન લીધા બાદ પણ જાે કોઈ સંક્રમિત થાય છે તો તેના શરીર માં વાયરસ ઘાતક અસર નહિ કરે.
Recent Comments