વિજય રૂપાણીની રૂ.૧૦માં ભોજન આપવાની યોજના ફરી શરૂ થશે
દેશના તામિલનાડુમાં ગરીબો માટે ૨૦૧૩માં એક યોજના શરૂ કરવામાં આવી હતી. અમ્મા ઉનાવગમ યોજનામાં એક, ત્રણ અને પાંચ રૂપિયામાં ઇડલી, પોંગલ, પ્રીમિક્સ રાઇસ, ચપાટી અને દાળ આપવામાં આવે છે. એવી જ રીતે રાજસ્થાનમાં પણ અન્નપૂર્ણા રસોઇમાં પાંચ રૂપિયામાં નાસ્તો અને આઠ રૂપિયામાં બપોરનું ભોજન આપવામાં આવે છે. યુપીમાં પણ આવી યોજના ચાલી રહી છે.ગુજરાતમાં કામદારો અને શ્રમિકો માટે શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આ યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોએ સસ્તા ભોજન માટે શરૂ કરેલી યોજનાઓથી પ્રેરાઇને ૨૦૧૭માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજના શરૂ કરી હતી. મોંઘવારીના સમયમાં શ્રમિકોને સસ્તું ભોજન મળી રહે તે માટેની આ યોજના આશીર્વાદરૂપ હતી. એક તબક્કે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લેતાં હતા.
સરકારે વિવિધ શહેરોમાં આ યોજના શરૂ કરી હતી પરંતુ કોરોના સંક્રમણ ફેલાતાં છેલ્લા દોઢ વર્ષથી આ યોજના બંધ કરી દેવામાં આવેલી છે. રાજ્યના શ્રમ વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો સરકારે વિચાર કર્યો છે અને અમે એક મહિનામાં આ યોજના શરૂ કરીશું. આ યોજનાના કારણે શ્રમિકોને સસ્તુ ભોજન મળી રહે છે. ખાસ કરીને બાંધકામ શ્રમિકો માટે આ યોજના આશીર્વાદરૂપ બની હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ ૧૮મી જુલાઇ ૨૦૧૭ના રોજ કરવામાં આવ્યો હતો. જે તે સમયે અન્નપૂર્ણા યોજનાનો લાભ ખુદ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ લીધો હતો. ગુજરાતમાં ભોજનની એક થાળીનો ભાવ ૧૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. જાે કે કેટલીક જગ્યાએ એવું પણ થયું હતું કે પ્રરપ્રાંતિય શ્રમિકોને ગુજરાતી ભોજન માફક આવતું ન હતું તેથી ભોજનમાં વેરાયટીનો ઉમેરો કરવાની સલાહ આપવામાં આવી હતી.
Recent Comments