fbpx
અમરેલી

ગણતંત્ર દિવસ એ સંવિધાનને ગૌરવભેર યાદ કરવાનો દિવસ : રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ૭૨મા ગણતંત્ર દિવસની જિલ્‍લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાષ્‍ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્‍ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી.

ગણતંત્ર દિવસની શુભેચ્‍છા પાઠવતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતુ કે, ગણતંત્ર દિવસ એ સંવિધાનને ગૌરવભેર યાદ કરવાનો દિવસ છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં ભારતીય બંધારણને માન્યતા મળતાંની સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી અસ્તિત્વમાં આવી હતી. દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે. લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરીમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે.

એકતાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે એકતામાં અનેરી તાકાત છે. આપણા ગુજરાત સહીત સમગ્ર ભારત દેશએ એક થઈને કોરોના મહામારી સામે બાથ ભીડી છે. ધીમે ધીમે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અને રિકવરી રેટ ૯૬ % થી પણ વધુ થયો છે. આમ આપણે સૌએ એક થઈને મહામારીને નાથવાના પ્રયાસો સફળ રહ્યા છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ખુબ જ ટૂંકા સમયગાળામાં કોરોનાની રસી શોધીને આપણા દેશના વૈજ્ઞાનિકોએ દુનિયાને નવો માર્ગ ચીંધ્યો છે. તબક્કાવાર આરોગ્ય કર્મીઓને, સુરક્ષા કર્મીઓને, વડીલોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના સર્વાંગી વિકાસની સાથે જિલ્લાના નાગરિકોને આરોગ્‍યલક્ષી તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડવા જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સંનિષ્‍ઠ કાર્ય અને પ્રયત્‍નો કરવામાં આવ્‍યા હોવાનું જણાવ્યું હતુ. 

મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયએ પોલીસ પરેડ, માર્ચ પાસ્‍ટ અને ટેબ્લો નિદર્શન કર્યુ હતુ. મંત્રીશ્રીએ સ્‍વાતંત્ર્ય સેનાનીનું સુતરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતુ.

આ તકે કોવીડ-૧૯ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓ તથા રમત ગમત અને કલા ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોનું અને કલાવીરોનું મહાનુભાવોના હસ્તે પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ઉમદા કામગીરી કરનાર અધિકારી-કર્મચારીશ્રીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, અધિક કલેક્ટર શ્રી એ.બી.પાંડોર તથા પ્રાંત અધિકારીશ્રી સી. કે. ઉંધાડ તથા જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી.એ.ગોહિલ તેમજ પદાધિકારીશ્રી-અધિકારીશ્રી-કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ તથા અમરેલીના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts