ભાવનગરમાં ૧૩ વર્ષીય તરૂણનું તળાવમાં ડૂબી જતાં મોત
ગારિયાધાર તાલુકાના નાનીવાવડી વિરડી રોડ પર આવેલા તળાવમાં ડૂબી જતાં તરુણનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં ફાયર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને ભારે જહેમત બાદ તરુણની લાશ બહાર કાઢી પીએમ માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગારીયાધાર ના ખત્રીની કુઈ પાસે ભરવાડ શેરીમાં રહેતો ૧૩ વર્ષીય ચિરાગ ભોળાભાઈ ટોટા માલઢોર ચરાવવા ગયો હતો. જ્યાં તળાવમાં પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
તરુણ તળાવમાં ડુબી જવાનાં સમાચાર મળતા ગારીયાધાર મામલતદાર, ફાયર વિભાગ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાં સ્થળે દોડી ગયો હતો અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી.
નાનીવાવડી વિરડી રોડ પર આવેલી ૬૬ કે.વી. લાઈનની પાછળનાં ભાગમાં આવેલા તળાવમાં ડૂબી ગયેલા યુવાનની મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી.
તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા તરુણની કલાકો સુધી શોધખોળ ચાલુ રાખ્યા બાદ લાશ ન મળતાં તળાવનો એક બાજુનો પાળો જેસીબીની મદદથી તોડવામાં આવ્યો હતો. તળાવનું પાણી બહાર નીકળી ગયા બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામા આવ્યો હતો.
ફાયર વિભાગને રાત્રિનાં ૧૧ કલાકે તરૂણ નો મૃતદેહ ભારે જહેમત બાદ મળી આવ્યો હતો. પોલીસે તરૂણના મૃતદેહને ગારીયાધાર આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments