Politics: ગુજરાતમાં ચૂંટણી પહેલા જ રણનીતિકાર PKની ટીમના ગાંધીનગરમાં ધામા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને વાર છે પરંતું અત્યારથી જ રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિ વચ્ચે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યાં છે પાટનગર ગાંધીનગરથી. જ્યાં ચૂંટણીના રણનીતિકાર એવા પ્રશાંત કિશોર ઉર્ફ PKની ટીમે ધામા નાંખ્યાં છે. જી હાં, ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાય તે પહેલા જ PKની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે અને ચૂંટણીના કામ શરુ કરી દીધા છે.
ગાંધીનગરના સૂત્રો મુજબ, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આ વખતે મોટી સંખ્યામાં કાફલો ઉતાર્યો છે. PKની તમામ ટીમને વાહન અને રહેવા માટેની તમામ સગવડ અપાઈ રહી છે. રાજકીય સુત્રો મુજબ, પ્રશાંત કિશોરની ટીમે ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમની નજીકના અંતરે જ ટીમ માટે ભાડાના ફ્લેટ રાખ્યા છે. કમલમથી 5 કિમીના અંતરે આ ફ્લેટ ભાડા પર રખાયા છે. આ સાથે પ્રશાંત કિશોરની ટીમને વાહન સહિતની તમામ સગવડ અપાઈ છે.
આપને જણાવી દઈએ કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ ચર્ચામાં મૂળ પ્રશાંત કિશોર પણ હતા, કારણકે એવી વિગત મળી હતી કે નરેશ પટેલ એ શરત સાથે કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર થયા હતા કે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસ માટે રણનીતિ ઘડે. હાલ તો આ વાતની કોઈ પુષ્ટિ મળી નથી પરંતું પ્રશાંત કિશોરની ટીમના આ રીતે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધામા નાંખવા ઘણી બધી બાબતો પર સંકેત કરે છે. આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં આ વાત શું રુપ ધારણ કરે છે તે તો સમય જ બતાવશે
Recent Comments